સોમવાર, 18 માર્ચ, 2013

ભારતની આર્થીક પ્રગતીનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે.

વિશ્વ કક્ષાની રેટીંગ એજન્સીઓ એ ચેતવણી આપી છે કે જો ભારત સરકાર નિતીલક્ષી નિર્ણયોમાં સક્રીયતા નહીં લાવે તો ભારતનાં ક્રેડીટ રેટીંગ ને જંક નો દરજ્જો આપી દેશે.આપણાં આર્થીક નિષ્ણાંત વડા પ્રધાનશ્રી એ આ બાબતનો પ્રતીભાવ આપતા જણાંવ્યુ હતું કે ''જો ભારતને જંક નો દરજ્જો મળશે તો અનેક પેન્શન ફંડૉ અને વિદેશી રોકાણકારો શેર બજારમાંથી અબજો રુપીયા પાછા ખેંચી લેશે તેનાં કારણે રુપીયો ડોલર સામે ૫૫ રુ.થી ઘટીને ૬૦ રુ. થઈ જશે,આયાત મોંઘી થશે અને દેશમાં ફુગાવો વધીને ૧૫% સુધી પહોંચી જશે.''મનમોહનસીંઘનાં આ બયાનમાં ખુશ થવા જેવું ફક્ત એક જ છે કે અંતે તેમણે વાસ્તવિક્તાનો સ્વીકાર તો  કર્યો.પરંતુ દુઃખની વાત એ છે કે ભારતની જનતા એ બે-બે વખત વિશ્વાસ મુકી ને કોંગ્રેસને ભારતનું સુકાન સોંપ્યું અને જે સરકારનાં વડાપ્રધાન અને નાણાંમંત્રી બંને આર્થીક બાબતો નાં નિષ્ણાંત હોવા છતાં છેલ્લાં નવ વર્ષથી દેશ ની આર્થીક પ્રગતી નો ગ્રાફ સતત નીચે જ જઈ રહ્યો છે.ભારતનો આર્થીક વૃધ્ધી દર ઘટીને ૫% થઈ ગયો જે છેલ્લાં દશકાનો સૌથી ઓછો આર્થીક વિકાસ દર છે.તેને લીધે ભારતમાં આર્થીક તકો અને રોજગારીમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે.સાથે સાથે ફુગાવો પણ કુદકે ને ભુસકે વધી રહ્યો છે.તાજેતરમાં જ ભારત સરકારનાં જ એક વિભાગ નેશનલ સ્ટેટેસ્ટીકલ કમીશનનાં આંકડાઓ મુજબ ભારતમાં રીટેલ ફુગાવાનો દર વધીને ૧૦.૮૦ ટકા એ પહોંચ્યો છે અને ખાધ ફુગાવાનો દર વધીને ૧૩.૩૬ ટકા એ પહોંચ્યો છે.જેને પરીણામે મોંઘવારીએ માઝા મુકી છે.સામાન્ય અને મધ્યમ વર્ગ માટે જીવન ગુજારવું ખુબજ મુશ્કેલ થઈ ગયું છે.ગરીબ વધારે ગરીબ બનતો જાય છે.પ્લાનીંગ કમીશનનાં આંકડાઓ મુજબ ૨૦૦૨-૩ માં દેશમાં ૨૭% લોકો ગરીબી રેખા નીચે જીવતાં હતાં.જ્યારે ૨૦૧૦-૧૧ માં ૬૦% લોકો ગરીબી રેખા નીચે જીવન ગુજારે છે.દેશનાં દરેક વર્ગનાં લોકો માં સરકાર પ્રત્યે ઘોર નિરાશા વ્યાપી ગઈ છે ત્યારે છેલ્લાં છ-એક મહીનાં થી સરકાર સફાળી નીંદરમાંથી જાગી હોય તેમ અચાનક સક્રીય સુધારાવાદી વલણ અપનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે.મલ્ટી બ્રાન્ડ રીટેલ,રેલ્વે ભાડાં નો વધારો,પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો,એલ.પી.જી.ગેસ કનેક્શન અને સિલીંડરમાં કાપ,જનરલ એન્ટી એવોઇડન્સ ટેક્સનાં મુદ્દે વિદેશી રોકાણકારોનાં ભયને દુર કરવાનો પ્રયાસ,સબસીડીમાં ઘટાડો વગેરે.આ તમામ પગલાંઓ દેશની રાજકોષીય ખાધને ઘટાડવાની કવાયત રુપે લેવામાં આવી રહ્યાં છે.કારણ કે આપણાં નાણાં પ્રધાન સાહેબ તેમનાં વિદેશ પ્રવાસો માં રોકાણકારોને આ વર્ષે દેશમાં રાજકોષીય ખાધ ઘટાડીને આ વર્ષે જી.ડી.પી.નાં ૫.૩% અને આવતાં વર્ષે જી.ડી.પી.નાં ૪.૮% કરવાની ખાતરી આપી રહ્યાં છે.પરંતુ એવું લાગી રહ્યું છે કે આ તમામ પગલાંઓ અંતે દેશમાં ફરીથી મોંઘવારીને જ વેગ આપશે.રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે સરકાર પોતાનાં પ્રધાનો નાં ખર્ચાઓ પર કાપ મુકી શકે,કૌભાંડૉ માં ખવાઈ ગયેલાં નાણાં પરત લાવવાં કડક પગલાંઓ લઈ શકે,વિદેશોમાં પડેલું કાળું ધન પરત લાવી શકે,ટેક્સ ચોરી સદંતર બંધ કરાવી શકાય,ગેરકાયદેસર ખનીજ કામ બંધ કરાવી શકાય,ભ્રષ્ટાચાર નાબુદ કરાવી દેશનું ધન બચાવી શકાય,આમ,આ પ્રકારનાં અનેક પગલાંઓ દ્વારાં પણ ખાધ ને કાબુમાં લાવી શકાય.આમ જોઈએ તો ભારત માટે રાજકોષીય ખાધ અને ચાલુખાતાની ખાધ નો પ્રશ્ન ઘણો જુનો છે.નાણાંમંત્રી તરીકે ની અગાઉની ટર્મમાં પણ શ્રી ચિદમ્બરમ સાહેબ આ બાબતે ખાસ કંઈ કશુ સુધારી શક્યાં નહોતા.હાલ ચુંટણી નાં દિવસો નજીક આવી રહ્યાં છે ત્યારે સરકાર થોડૂં સુધારાવાદી વલણ અપનાવે એ સ્વાભાવિક છે. પરંતુ જનતા ને હવે આ સરકાર પાસે થી કોઈ આશા રહી ના હોય તેવું સ્પષ્ટ દેખાય છે.   

ગુરુવાર, 31 જાન્યુઆરી, 2013

જીંદગીની સેક્ન્ડ ઈનીંગ માટેનું નાંણાંકીય આયોજન

નીવૄતિ પછી આપણી જીંદગીની સેકન્ડ ઈનીંગ ચાલુ થાય છે.આખી જીંદગીની રુપીયા કમાવવા પાછળની ભાગદોડ બાદ જીંદગીને નિરાંતે- મનભરીને માણવાનો સમય એટલે નીવૄતિ.યાત્રાએ જવાનું,પૌત્ર-પૌત્રી સાથે રમવાનું,વળી,ક્યારેક કોઈ મનગમતું જુનું પીકચર જોઈ લેવાનું,ટાઉનહોલમાં સંગીતનો કાર્યક્રમ માણવાનો,ઝુલે હિંચકતા-હિંચકતા પત્ની સાથે ભુતકાળનાં સંભારણાઓ વાગોળવા,દાન-ધર્મ-સેવાનાં કાર્યો કરવાનાં.આમ,જોઈએ તો જીંદગીને સાચી રીતે જાણવાનો અને માણવાનો સમય એટલે જ નીવૄતિ.પરંતુ આ બધાની સાથે સાથે નીવૃત થયાં પછી રોકાણોનું યોગ્ય નાણાંકીય આયોજન કરવું પણ અત્યંત જરુરી છે.કેમે કે સેકન્ડ ઈનીંગ પણ લાંબી હોય છે અને આ સેકન્ડ ઈનીંગ પણ શાનદાર અને મોભાદાર રહે તેમજ જીવન પર્યંત કયારેય નાણાંકીય મુંઝવણ ન અનુભવવી પડે તે માટે નીવૃતિ પછી નાં રોકાણોનું યોગ્ય નાણાંકીય આયોજન કરવું ખુબ જરુરી છે.નીવૃતિ પછીનું નાણાંકીય આયોજન કેવું હોવું જોઈએ તે માટે થોડી અગત્યની ટીપ્સ અંહી આપવાનો ઍક નમ્ર પ્રયાસ છે.


# આપણાં કુલ રોકાણોમાંથી ૫૦ થી ૬૦ ટકા સુધીની રકમનું રોકાણ ફક્ત સલામત રોકાણ સાધનોમાં જ કરવું જોઈએ.જેમ કે,બેંક એફ ડી,પોસ્ટલ સ્કીમ,ડેટ ફંડ વગેરે.

# આપણાં કુલ રોકાણૉમાંથી ૨૦ ટકા રકમનું રોકાણ એવાં સાધનોમાં કરવું જોઈએ કે જ્યારે પણ જરુર પડે ત્યારે તાત્કાલીક અને આસાનીથી તેને ઉપાડી શકીએ.

# ૬ થી ૧૨ મહીનાનાં આપણાં કુલ માસીક ખર્ચ જેટલી રકમ સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં રીઝર્વ ફંડ તરીકે રાખવી જોઈએ જેથી આકસ્મિક સંજોગોમાં કોઈ પાસે હાથ લાંબો કરવાની ફરજ ના પડે.

# ૨૦ થી ૩૦ ટકા જેટલી રકમનું રોકાણ શેર બજાર અને મ્યુચલ ફંડમાં કરી શકાય જેથી રોકાણૉ પર વધારે વળતર મેળવી,વધતા ફુગાવા સામે રક્ષણ મેળવી શકાય.

# કોઈ એક જ રોકાણ સાધનમાં બધું રોકાણ કરવાને બદલે જુદાં જુદાં પ્રકારનાં રોકાણ સાધનોમાં થોડું થોડું રોકાણ કરવું જોઈએ જેથી જોખમને ઓછું કરી શકાય.

# બચતનાં થોડાં હિસ્સાનું રોકાણ સોનું તેમજ જમીન જેવી પ્રત્યક્ષ મિલ્કતમાં પણ કરવું જોઈએ.

# જે વિમા પોલીસી ચાલુ હોય તેનાં પ્રીમીયમ નિયમીત રીતે ભરતાં રહેવાં હિતાવહ છે.

# પ્રીમીયમ ઉંચું હોય તો પણ પતિ અને પત્નિ બંનેનો મેડીકલ ઈન્શ્યોરન્સ લઈ લેવો જોઈએ.

# બેંક ખાતાઓની પાસબુકમાં નિયમિત રીતે એન્ટ્રીકરાવવી જેથી તમારાં ફંડ વિશેની તાજી જાણકારી રાખી શકાય.

# બેંક ખાતા તેમજ અન્ય તમામ રોકાણોમાં નોમીનેશનની વિગતો યોગ્ય રીતે ભરેલી છે કે નહીં તે ચકાસી લેવું જોઈએ.


# આપણાં તમામ રોકાણો વિશે આપણાં પરીવારનાં તમામ જવાબદાર સભ્યોને જાણકારી આપતી રહેવી જોઈએ જેથી આપણાં મ્રુત્યુ  પછી તેઓ અંધારામાં ના રહે.

# આપણાં રોકાણોને લગતાં તમામ ડોક્યુમેંન્ટસ જેમ કે,વિમા પોલીસી,એફ ડી ની રશીદ,મિલ્કતનાં દસ્તાવેજ વગેરે એક સલામત જગ્યાએ સાચવીને રાખવા જોઈએ તેમજ તેની જાણ પરીવારનાં જવાબદાર સભ્યોને પણ કરવી જોઈએ.

# તમામ રોકાણો અને મિલ્કતોની સુયોગ્ય વહેંચણી થાય અને પરીવારમાં ભવિષ્યમાં કોઈપણ વિવાદ ના થાય તે માટે યોગ્ય રીતે વસીયતનામું તૈયાર કરી લેવું જોઈએ.

બોનસ લાઈનઃ ઉજાલે અપની યાદો કે હમારે સાથ રહેતે હૈ
                ના જાને કીસ ગલી મેં જીંદગી કી શામ હો જાયે


ગુરુવાર, 11 ઑક્ટોબર, 2012

સોનાંમાં રોકાણ કરવા માટેનાં શાનદાર વિકલ્પો

વૈશ્વિક બજારોમાં છવાયેલી અનિશ્ચિતતા,વિક્સિત દેશોની ધીમી અર્થવ્યવસ્થા તેમજ અનેક દેશોમાં શેર બજારની અસ્થિરતા અને આર્થીક નીતિઓ ની અસ્પષ્ટ્તા એ રોકાણકારો ને રોકાણ માટેનાં નવા વિકલ્પો શોધવા માટે મજબુર કરી દીધા છે.રોકાણનાં સૌથી સુરક્ષીત વિકલ્પ તરીકે સોનાંને સૌથી વધારે લોકોએ પસંદ કર્યું છે.ફક્ત લોકોએ જ નહીં પરંતુ અનેક રાષ્ટ્રોએ પણ સોનાંનાં રોકાણ પર વિશ્વાસ બતાવ્યો છે.
છેલ્લાં કેટલાંક સમયથી સોનાંના ભાવોમાં પણ સતત ઉછાળો જોવા મળેલ છે તેમજ મીડીયા,બ્રોકર્સ,આર્થીક વિશ્લેષકો વગેરે લોકો દ્વારાં પણ સોનાંના ભાવો વિશે જુદાં જુદાં પ્રકારની ભવીષ્યવાણીઓ થતી જોવામાં આવે છે.ભારતમાં નાનો રોકાણકાર વર્ગ પણ સોનાંને સૌથી સલામત અને સરળ રોકાણનાં સાધન તરીકે જુએ છે.ત્યારે અંહી આપણે પ્રત્યક્ષ રીતે એટલે કે ફીઝીકલી સોનું ખરીદવાને બદલે બીજી કઈ-કઈ રીતે સોનાંમાં રોકાણ કરી શકાય તેનાં વિકલ્પો જોશું.

ગોલ્ડ ઈટીએફ

જો તમે સોનાંમાં રોકાણ કરવા માંગતા હો તો પ્રત્યક્ષ રીતે સોનાંમાં રોકાણ કરવાને બદલે ગોલ્ડ ઇટીએફ માં રોકાણ કરવું વધારે ફાયદામંદ રહેશે.ગોલ્ડ ઇટીએફ એ 'એક્સચેંજ ટ્રેડેડ ફંડ' છે જે મ્યુચલ ફંડ ની જેમ જ કામ કરે છે.મ્યુચલ ફંડમાં જેમ રુપીયાનાં રોકાણની સામે યુનીટ આપવામાં આવે છે તેમ ગોલ્ડ ઇટીએફ માં પણ રોકાણની સામે યુનીટ આપવામાં આવે છે.જેમાં એક યુનીટની વેલ્યુ એક ગ્રામ સોનાં જેટલી હોય છે.કોઇ કોઇ ફંડ હાઉસ દ્વારાં એક યુનીટની વેલ્યુ અડધાં ગ્રામ સોનાં જેટલી પણ રાખવામાં આવતી હોય છે.જેથી નાનાં રોકાણકારો પણ રોકાણ કરી શકે.
ગોલ્ડ ઇટીએફ મ્યુચલ ફંડની જેમજ ખરીદી તેમજ વેંચી શકાય છે.તેનાં માટે ડિમેટ એકાઉન્ટ હોવું જરુરી છે.મ્યુચલ ફંડ ની જેમજ ગોલ્ડ ઇટીએફ ની પણ નેટ એસેટ વેલ્યુ (NAV) નિયમીત રીતે જાહેર કરવામાં આવે છે.ઇટીએફ ગોલ્ડની ગુણવતા ૯૯.૯ ની હોય છે.પ્રત્યક્ષ રીતે સોનું ખરીદ્યા બાદ તેને સલામત જ્ગ્યાએ સાચવવાની મુશ્કેલી સામાન્ય રીતે દરેક લોકો અનુભવતા હોય છે.જ્યારે ગોલ્ડ ઇટીએફ નો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાં સ્ટૉરેજ અને સુરક્ષા માટેની કોઇ ચિંતા રહેતી નથી.વળી પ્રત્યક્ષ સોનાં કરતાં પણ ગોલ્ડ ઇટીએફ ની તરલતા વધારે છે.જેથી ગમે ત્યારે તેને વેંચી શકાય છે.તેમજ ગોલ્ડ ઇટીએફ દ્વારાં નાની રકમથી પણ તમે સોનાંમાં રોકાણ કરી શકો છો.
પ્રત્યક્ષ સોનાં માં રોકાણ કરતાંગોલ્ડ ઇટીએફ નાં રોકાણને કર બચત મામલે પણ વધારે રાહત મળે છે.લાંબાગાળા ની કર બચત માટે પ્રત્યક્ષ સોનાંમાં ઓછાં માં ઓછાં ત્રણ વર્ષ માટે રોકાણ કરવું જરુરી છે જ્યારે ગોલ્ડ ઇટીએફ માટે આ અવધી ફક્ત એક વર્ષની જ છે.
ભારતમાં કોટક,રીલાયન્સ,યુટીઆઇ,ઍચડીએફસી વગેરે જેવાં ફંડ હાઉસો દ્વારાં ગોલ્ડ એટીએફ ઓફર કરવામાં આવ્યાં છે.ભારતમાં પહેલું ગોલ્ડ ઇટીએફ ૨૦૧૦ ની સાલમાં આવેલું.

ઇ-ગોલ્ડ

નેશનલ સ્પોટ એક્સચેંજ લીમીટેડ(એનએસઇએલ) દ્વારાં ઇલેક્ટ્રોનીક રુપમાં રોકાણકારૉને સોનાં,ચાંદી અને કોપર ખરીદવાની અનુમતી આપવામાં આવેલી છે.જે ઇ-ગોલ્ડ,ઇ-સીલ્વર અને ઈ-કોપર તરીકે ઓળખાય છે.ઇ-ગોલ્ડની સુવિધા દ્વારાં રોકાણકારો ડિમટીરીયલાઇઝ્ડ રુપમાં સોનું ખરીદી શકે છે.તેનાં કામકાજનો સમય સવારે ૧૦ વાગ્યાં થી રાત્રીનાં ૧૧-૩૦ વાગ્યાં સુધીનો હોય છે.રોકાણકાર એક યુનીટનાં લોટમાં સોનાંમાં ખરીદીકરી શકે છે.એક યુનીટ બરાબર એક ગ્રામ સોનું ગણવામાં આવે છે.જેની શુધ્ધતા ૯૯.૫ ની હોય છે.
ઇ-ગોલ્ડમાં રોકાણ કરવા માટે ડિપોઝીટરી પાસે અલગથી ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડે છે.ઇ-ગોલ્ડ માં રોકાણ આજકાલ ફાયદાનો સોદો સાબીત થઈ રહ્યું છે.૨૦૧૧-૨૦૧૨ નાં નાણાંકીય વર્ષમાં ઇ-ગોલ્ડૅ અંદાજે ૨૭ ટકાનું વળતર આપેલું છે.વળી રોકાણકાર જ્યારે ઇચ્છે ત્યારે ઇ-ગોલ્ડનું વેચાણ કરી શકે છે તેમજ કોઈપણ એનએસઈએલ સેન્ટર પરથી રોકડાં રુપીયા મેળવી શકે અથવા તો પ્રત્યક્ષ રીતે સોનાંની ડિલીવરી પણ લઈ શકે છે.હાલમાં ડિમટીરીયલાઈઝ્ડ સેન્ટર મુંબઈ,દીલ્હી અને અમદાવાદમાં છે.ભવીષ્યમાં વધારે સેન્ટર્સ ખોલવામાં આવશે તેવું જાણવા મળેલ છે.
ઇ-ગોલ્ડની વધુ માહીતી માટે તેની વેબસાઈટ ની મુલાકાત લો.www.nationalspotexchange.com 


ગોલ્ડ ફંડ અને ગોલ્ડ એફઓએફ (ફંડ ઓફ ફંડ્સ)

ગોલ્ડ ફંડ પણ મ્યુચલ ફંડની જેમજ કામ કરે છે અને તે જુદાં જુદાં ફંડ હાઉસો દ્વારાં જ ચલાવવામાં આવે છે.ગોલ્ડ ફંડનાં રોકાણકારોને સૌથી મોટો ફાયદો એ છે કે તેણે ગોલ્ડ ઇટીએફ કે ઇ-ગોલ્ડની જેમ આને માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવવાની જરુર રહેતી નથી.ગોલ્ડ ફંડની એનએવી માટે સોનાનો ભાવ બેંચમાર્ક છે.
આજ રીતે સોનાંમાં રોકાણ કરવાનો બીજો પણ એક વધુ વિકલ્પ હાજર છે જે ગોલ્ડ એફઓએફ(ફંડ ઓફ ફંડ્સ) તરીકે ઓળખાય છે.આ પણ મ્યુચલ ફંડની જેમજ કામ કરતું ફંડ છે જે ગોલ્ડ ઇટીએફ માં રોકાણ કરે છે.
કોઇપણ ગોલ્ડ ફંડ કે ગોલ્ડ એફઓએફ માં રોકાણ કરતાં પહેલાં તેનાં ફાયદા-ગેરફાયદા,ચાર્જીસ તેમજ ભુતકાળનાં પ્રદર્શન વગેરેનો અભ્યાસ કરીને પછી જ તેમાં રોકાણ કરવું હીતાવહ છે.



સોમવાર, 13 ઑગસ્ટ, 2012

તમારી જોખમ લેવાની ક્ષમતા ચકાસ્યા બાદ જ રોકાણનું સાધન પસંદ કરો

બજારમાં રોકાણ માટે અઢળક વિકલ્પો હાજર છે ત્યારે 
રોકાણકારોને 
ઘણી વખત પોતાના માટે કયો વિકલ્પ ઉત્તમ છે તે સમજાતું નથી 

બજારની અત્યારની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતા રોકાણકારો બોન્ડ તરફ વળે છે અને શેરમાં વૃદ્ધિનો લાભ લેવાની શક્યતા ગુમાવી બેસે છે .બજારમાં જ્યારે આશાવાદ હોય ત્યારેજ સ્ટોક્સમાં રોકાણ પસંદ કરવામાં આવે છે 

એસેટની ફાળવણીની વાત છે ત્યાં સુધી બજારના હવામાન ઉપરાંત બીજી ઘણી ચીજોનો વિચાર કરવો જરૂરી છે .રોકાણકારોએ પોતાની જોખમ લેવાની ક્ષમતા ચકાસવી જોઈએ અને રોકાણના ઉદ્દેશ વિશે તે સ્પષ્ટ હોવા જોઈએ લાંબા ગાળા માટે રોકાણ કરવામાં આવે ત્યારે કેટલું નુકસાન સહન કરવાની ક્ષમતા છે તેનો અંદાજ મેળવવો જરૂરી છે 

રોકાણનો પોર્ટફોલિયો તૈયાર કરવામાં આવે ત્યારે રોકાણકારની જોખમ લેવાની ક્ષમતા જાણવી જરૂરી છે જેથી વોલેટાઇલ બજાર વખતે લાગણીવશ થઈને કોઈ ખોટા નિર્ણય લેવાય નહીં પોતાની જોખમ લેવાની ક્ષમતાનો વધારે પડતો ઊંચો અંદાજ ધરાવતા રોકાણકારો મોટા ભાગે બજારની પ્રતિકુળ સ્થિતિ વખતે સ્ટોપલોસની તકગુમાવી બેસે છે 

જો તેમણે જોખમની ક્ષમતાનો અંદાજ રાખ્યો હોય તો તેઓ મુશ્કેલ પરિસ્થિતિ ટાળી શકે છે સામાન્ય રીતે વાત કરવામાં આવે તો શેરમાં જોખમ વધારે હોય છે અને તેની સાથે વળતર પણ ઊંચું હોય છે 

ઊંચું જોખમ લઈ શકે તેવા રોકાણકારો લાંબા ગાળે વૃદ્ધિની ક્ષમતાનો લાભ લેવા માટે યોગ્ય સંખ્યામાં શેર રાખવાનુ વિચારી શકે છે જોકે બજાર ઘટતું હોય ત્યારે શેરના ભાવમાં થતો ઘટાડો બોન્ડની યીલ્ડ કરતા વધારે હશે એક વાત ધ્યાનમાં રાખો કે માત્ર વળતર મેળવવાની ઇચ્છા રાખીને રોકાણ કરવું અને તેની સાથે સંકળાયેલા અંગત જોખમને ધ્યાનમાં ન લેવું એ સંપત્તિ સર્જનમાં મોટી ભૂલ છે 

રોકાણકારોએ તેમના સંજોગ અને જોખમની ક્ષમતાના આધારે એસેટની ફાળવણી કરવી જોઈએ જેમની નાણાકીય સ્થિતિ સધ્ધર હોય અને વધારે જોખમ લઈ શકેતેમ હોય તેઓ વધારે ઉપજ આપી શકે તેવા નાણાકીય સાધનોમાં રોકાણ કરી શકે છે જ્યારે જેમની જોખમ લેવાની ક્ષમતા ઓછી હોય તેવા લોકોએ ઓછા જોખમના પ્રોડક્ટમાં રોકાણ કરવું જોઈએ 

બજારનું ચક્ર ટૂંકું થઈ રહ્યું છે તેથી રોકાણકારોએ તેમની જોખમ લેવાની ક્ષમતાની સતત સમીક્ષા કરવી જોઈએ તેઓ પોતાના વિશે જે અંદાજ ધરાવતા હોય તે ખોટોપણ હોઈ શકે છે 

દરેક રોકાણકારની જોખમ લેવાની ક્ષમતા પણ અલગ હોય છે અને વય રોકાણના સમય તથા રોકાણના ઉદ્દેશ પ્રમાણે તેમાં વિવિધતા આવી શકે છે રોકાણકારોએ જોખમનો વધુ સારી રીતે અંદાજ મેળવવા પ્રોફેશનલ સલાહ મેળવવી જોઈએ અને પોતાની પ્રોફાઈલ પ્રમાણે વેલ્થ મેનેજમેન્ટ પ્લાન ઘડવો જોઈએ 

જોખમ અંગે નિયમિત આકારણી ઉપરાંત રોકાણકારોએ પોતાના રોકાણના ઉદ્દેશ અનુસાર પોર્ટફોલિયો તૈયાર થયો છે કે નહીં તે જાણવા માટે પણ પોર્ટફોલિયોની સમયાંતરે સમીક્ષા કરવી જોઈએ બજારમાં હજુ ચિંતાજનક સ્થિતિ છે અને વૈશ્વિક પરિબળોના કારણે પ્રત્યાઘાત આપે છે તેથી રોકાણકારે બજારની અનિશ્ચિતતા અંગે તૈયારી રાખવી જોઈએ 

રોકાણ કરતા પહેલા આટલું ધ્યાનમાં રાખોઃ 

જોખમ લેવાની ક્ષમતાઃ બજારના ચઢાવઉતારથી તમારી ઉંઘ ઉડી જતી હોય તોતમારે ઓછું જોખમ ધરાવતા સાધનોમાં રોકાણ કરવું જોઈએ 

રોકાણનો ગાળોઃ સમયગાળો જેટલો વધારે હશે એટલા પ્રમાણમાં જોખમની ક્ષમતા વધશે 

તરલતાઃ તમને લાગતું હોય કે તમને તાત્કાલિક નાણાંની જરૂર પડશે તો વધુ સારી તરલતા ધરાવતી એસેટમાં રોકાણ કરો 

નાણાકીય પ્રોફાઈલઃ નાણાકીય રિસોર્સ ઓછા હોય તેમ જોખમનું પ્રમાણ પણ ઓછું રાખવું 

બુધવાર, 25 જુલાઈ, 2012

ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવા માટે TRP ની મદદ તૈયારઃ www.trpscheme.com

ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે.જો તમે ટેક્સ પેયર હશો તો તમને રીટર્ન ફાઈલ કરવાની ચિંતા થતી હશે.ઈન્કમટેક્ષ રિટર્ન બે રીતે ફાઈલ કરી શકાય છે એક તો મેન્યુઅલી અથવા ઈન્ટરનેટનાં માધ્યમ થી ઓનલાઈન ઈ-રીટર્ન ફાઈલ કરી શકાય છે.પરંતુ જો આ બંને વિકલ્પોમાંથી એક્પણ વિકલ્પ દ્વારાં તમે જાતે રીટર્ન ફાઈલ ના કરી શકતા હો તો ગભરાવાની જરુર નથી.ઈન્કમટેક્ષ વિભાગે આપના માટે TRP(ટેક્સ રીટર્ન પ્રીપેયર)ની વ્યવસ્થા ઉભી કરી છે.જે ઈન્કમટેક્ષ પેયર ને જાતે રીટર્ન ફાઈલ કરતાં ફાવતુ ના હોય તેઓ TRP ની મદદ લઈ શકે છે.તેનાં માટે ઈન્કમટેક્ષ વિભાગની વેબસાઈટ પર આપની પુરી વિગત આપવાથી TRP આપનાં ઘેર અથવા તો આપની ઓફીસ પર રુબરુ આવશે અને આપનું રીટર્ન ફાઈલ કરી આપશે.જો તમે નવા કરદાતા હો તો આપે કોઈપણ પ્રકારની ફી પણ આપવાની જરુર રહેતી નથી.


TRP(ટેક્ષ રીટર્ન પ્રિપેયર્સ)ઃ


ભારતનાં ઈન્કમટેક્ષ વિભાગની યોજના અંતર્ગત TRP એક તાલીમબધ્ધ પ્રોફેશનલ છે.તેઓને ઈન્કમટેક્ષ એક્ટ ૧૯૬૧ અંતર્ગત કરદાતાઓનાં રીટર્ન ફાઈલ કરવા માટે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારાં અધીક્રુત કરવામાં આવેલાં છે.જે કરદાતાઓ ત્રણ કે ત્રણ થી વધારે વર્ષોથી રીટર્ન ફાઈલ કરતાં હોય તેવાં કરદાતાઓ એ રુ.૨૫૦ ફી પેટે TRP ને ચુકવવા નાં રહે છે.નવાં કરદાતાઓ એ આ સેવા માટે બે વર્ષ સુધી કોઈ ફી ચુકવવાની રહેતી નથી.હાલમાં ભારતમાં કુલ ૨૨૦૦ TRP સેવા આપી રહ્યાં છે.ઈન્કમટેક્ષ વિભાગની યોજનાં મુજબ ભારતમાં નવાં ૫૦૦૦ TRP ની નીમણુક આગામી સમયમાં કરવામાં આવશે.જો તમે TRP ની મદદ લેવાં ઈચ્છતા હો તો www.trpscheme.com પર જઈ ને TRP નું લીસ્ટ,ફોન નંબર,એડ્રેસ વગેરે માહીતી મેળવી ને તમે તમારા વીસ્તારનાં TRP ની પસંદગી કરી તેનો સંપર્ક કરી શકો છો.



ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવા માટેની અંતીમ તારીખઃ

વેપારીઓ,પગારદારો,પેન્શન ધારકો,કંપનીઓ વગેરે કરદાતઓ કે જેમણે તેમનાં એકાઉન્ટનું ઓડીટ કરાવવું ફરજીયાત થતું નથી તેમને માટે રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે.જે કંપનીઓ અથવા તો જે કરદાતાઓ એ તેમનાં એકાઉન્ટનું ઓડીટ કરાવવું ફરજીયાત છે તેમનાં માટેની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર છે.

શનિવાર, 14 એપ્રિલ, 2012

ઓનલાઇન જીવન વિમો ખરીદોઃ પૈસા બચાવો અને પરીવારને આર્થીક સુરક્ષા આપો.

ભારતમાં આજે જ્યારે મોંઘવારીએ માઝા મુકી છે.દરેક ચીજ - વસ્તુઓ અને સેવાઓનાં દરોમાં તોતીંગ વધારો થઈ રહ્યો છે ત્યારે તમને એ જાણીને નવાઈ લાગશે અને સાથે આનંદ પણ થશે કે છેલ્લાં ત્રણ વર્ષ માં ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાનનાં પ્રીમીયમનાં દરોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.૨૦૦૯ માં ૩૦ વર્ષની ઉંમરની વ્યક્તિ માટે ૧૫ વર્ષની મુદતનો ૫૦ લાખ રુપીયાનાં ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન નું પ્રીમીયમ રુ.૧૧,૮૦૦ થતું હતું.જ્યારે આજે એ જ ઉંમરનાં વ્યક્તિ માટે તે મુજબનો જ પ્લાન લેવામાં આવે તો તેનાં પ્રીમીયમનાં દર હવે ઘટીને રુ.૪૩૬૩ થઈ ગયાં છે.


આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાનનું ઓનલાઈન વેચાણ.ભારતમાં ઈન્ટરનેટ વપરાશકારોનું પ્રમાણ સતત વધી રહ્યું છે.સાથે સાથે લોકોની જીવન વિમા પ્રત્યેની જાગ્રુતતામાં પણ ખુબ જ વધારો થયો છે.તેથી ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાનનું ઓનલાઈન વેચાણ પણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે.ટર્મ પ્લાનની ઓનલાઈન ખરીદીમાં ગ્રાહક અને વિમા કંપની એમ બંને ને ફાયદો છે.કેમ કે આ
પ્રક્રીયા માં કોઈ વિમા એજન્ટ સામેલ ન હોવાથી વિમા કંપની ખુબ સસ્તા દરે પ્લાન આપી શકે છે.ઓનલાઈન વિમો ખરીદવો સસ્તો પણ છે અને સાથે એટલું જ સરળ પણ છે.ઓનલાઈન વિમો વેંચતી વિમા કંપનીની વેબ સાઈટ પર તે પ્લાન વિશે સંપુર્ણ જાણકારી આપેલી હોય છે.તેથી ગ્રાહક તે વાંચીને તેની અનુકુળતા મુજબનો વિમો અને તેની મુદત નક્કી કરી શકે છે.જો ગ્રાહકનું મેડીકલ ચેકઅપ કરાવવાની જરુર હોય તો પણ જે તે શહેરમાં જ વિમા કંપનીનાં અધીક્રુત ચેકઅપ સેન્ટર પર જઈને ગ્રાહક તેનું ચેકઅપ કરાવી શકે છે અને તેનાં આધાર પર વિમા કંપની વિમા પોલીસી ઈશ્યુ કરે છે.આ પ્રક્રીયામાં વિમા પ્રીમીયમનું પેમેન્ટ પણ ક્રેડીટ કાર્ડ કે ઓનલાઈન બેંક ટ્રાન્સફર દ્વારાંજ કરવામાં આવે છે.ત્યાર બાદ ગ્રાહકનાં ઘર પર કુરીયર દ્વારાં વિમા પોલીસી ડોક્યુમેંન્ટ પહોંચડવામાં આવે છે.હવે સવાલ એ થાય કે કઈ વિમા કંપનીનો ટર્મ પ્લાન વધારે સસ્તો??કારણ કે ભારતમાં તો ૨૪ વિમા કંપની ઓ છે તો શું કરવું???તો તેનાં માટે પણ મુંઝાવાની જરુર નથી કારણ કે દરેક વિમા કંપનીનાં ટર્મ પ્લાનનાં પ્રીમીયમનાં દરો ની સરખામણી કરી આપતી અનેક વેબસાઈટસ આજે ઉપલબ્ધ છે.જેમકે,www.policybazaar.com,www.myinsuranceclub.com,www.policytiger.com વગેરે વેબસાઈટ દ્વારાં તમે જાણી શકો છો કે કઈ વિમા કંપની પ્રીમીયમનાં દરો વધારે સસ્તા છે.
તો હવે શું વિચારો છો? જો તમે ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ હો અને તમારી જ આવક પર તમારાં પુરા પરીવારનું ગુજરાન ચાલતું હોય અને જો તમારી પાસે તમારો મોટી રકમનો વિમો ના હોય તો એક સેકન્ડનો પણ વિચાર કર્યાં વગર તમારાં માટે ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાનની ઓનલાઈન ખરીદી હમણાં જ કરૉ અને તમારાં પરીવારને આર્થીક સુરક્ષા ની ખાતરી આપો.

રવિવાર, 18 માર્ચ, 2012

ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાનઃ પરીવારની આર્થીક સુરક્ષાની સંપુર્ણ ખાતરી


ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન એ શુધ્ધ વિમો છે જેમાં રોકાણનો ભાગ હોતો નથી.આ પ્રકારનાં પ્લાનમાં પોલીસી ચાલુ થાય ત્યારથી નક્કી કરેલી મુદત સુધી એક નિશ્ચીત મોટી રકમનો વિમો વિમેદારને આપવામાં આવે છે.તેની સામે વિમા ધારકે નક્કી કરેલી મુદત સુધી દર વર્ષે નીયમીત પ્રીમીયમ ચુકવવાનું હોય છે.આ પ્રકારનાં પ્લાનમાં સાવ ઓછી રકમનાં પ્રીમીયમ સામે ખુબ મોટી રકમનો વિમો મળે છે.આ નક્કી કરેલી મુદત દરમીયાન જો વિમા ધારકનું કોઈપણ રીતે મૃત્યુ થાય તો તેનાં પરીવારને વિમાની રકમ ચુકવવામાં આવે છે.પરંતુ જો વિમેદારનું આ નક્કી કરેલી મુદત દરમીયાન મૃત્યુ થતું નથી તો મુદત પુરી થયે ભરેલાં પ્રીમીયમની રકમ માંથી પરત કશું મળતું નથી.ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન ને સરળતાથી સમજવા તેને ભાડાનાં મકાન સાથે સરખાવી શકાય.જ્યાં સુધી ભાડાનાં મકાનમાં રહેતાં હોઈએ ત્યાં સુધી દર મહીને ભાડું ચુકવવું પડે છે.તેની સામે  આપણને રહેવા માટે ઘર મળે છે એટલે કે  આપણાં પરીવારને સુરક્ષા મળે છે.હવે જ્યારે આપણે ભાડાંનું મકાન ખાલી કરીએ ત્યારે ભાડાંની રકમમાંથી પરત કશું મળતું નથી પરંતુ જેટલો સમય રહિએ એટ્લો સમય પરીવારને અને આપણને સુરક્ષા મળે છે.ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન પણ બીલકુલ આ જ રીતે કામ કરે છે.જેટલો સમય નીયમીત પ્રીમીયમ ભરીએ તેટલો સમય નીશ્ચીત મુદત સુધી વિમાનું સુરક્ષા કવચ આપણાં પરીવારને મળે છે.મુદત દરમીયાન જો આપણું મૃત્યુ થાય તો એક  નિશ્ચીત રકમ આપણાં પરીવારને મળે છે જેથી આપણાં પરીવારે કોઈ પાસે હાથ લાંબો કરવો ના પડે.ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન એ રોકાણ માટેનું સાધન નથી પરંતુ પરીવારને આર્થીક સુરક્ષાની સંપુર્ણ ખાતરી આપતો શુધ્ધ વિમો છે.આજનાં અસલામતી ભર્યા મહોલમાં દરેક કમાનાર વ્યક્તિઓએ પોતાનાં પરીવારની આર્થીક સુરક્ષા માટે મોટી રકમનો ટર્મ ઈન્શ્યુરન્શ પ્લાન ફરજીયાત પણે લેવો જ જોઈએ એવું હું સ્પષ્ટપણે માનુ છું. TERM INSURANCE PLAN = ONLY RISK , NO RETURN. 

સોમવાર, 19 સપ્ટેમ્બર, 2011

તમે પણ ખોલાવી શકો છો વિદેશમાં બેંક એકાઉન્ટ


આજે જ્યારે દેશભરમાં વિદેશની બેંકોમાં જમા ભારતીય કાળાનાંણાંની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે તમને જાણીને આનંદ થશે કે ફક્ત ભ્રષ્ટ રાજકારણીઓ,ભ્રષ્ટ અધીકારીઓ કે પછી માલેતુજાર લોકો જ ફક્ત વિદેશ ની બેંકોમાં તેમનાં એકાઉન્ટ ખોલાવી શકે તેવું નથી પરંતુ દેશનાં એક સામાન્ય નાગરીક તરીકે કાયદાકીય નીતિ નીયમોનું પાલન કરીને આપણે બધાં પણ અમુક શરતો ને આધીન રહીને વિદેશની બેંકો માં આપણું બેંક એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ.

જો તમે બીજાં કોઈ દેશમાં પૈસાનું રોકાણ કરવા ઈચ્છતા હો કે પછી બીજાં દેશમાં મિલ્કત ખરીદવાનું આયોજન હોય અથવા તો ખરીદેલી મિલ્કત ભાડે આપી હોય અને તેનું ભાડું ત્યાંની બેંકમાં જમા લેવું હોય અથવા તો તમારાં ધંધાર્થે વારંવાર વિદેશ જવાનું થતું હોય તો આવા સંજોગોમાં વિદેશની બેંકમાં ખોલાવેલું એકાઉન્ટ તમને ઉપયોગી થઈ શકે છે.

એકાઉન્ટનાં પ્રકારઃ

તમે લીબરલાઈઝડ રેમીટેન્સ સ્કીમ (એલ આર એસ)હેઠળ વિદેશમાં ફોરેન (લોકલ) કરન્સી એકાઉન્ટ ખોલાવી શકૉ છો.એક નાંણાંકીય વર્ષમાં તમે તેમાં બે લાખ ડોલર (૯૦ લાખ રુપીયા)સુધીની રકમ જમા કરાવી શકૉ છો.તમારી જરુરીયાત મુજબ તમે સેવીંગ્સ એકાઉન્ટ,કરન્ટ એકાઉન્ટ કે પછી ટર્મ ડિપોઝીટ એકાઉન્ટ ખોલાવી શકો છો.

# આંતરરાષ્ટ્રીય બેંકોમાં ઓફશોર એકાઉન્ટઃ

ડચ બેંક,એચ.એસ.બી.સી બેંક,સીટી બેંક વગેરે જેવી આંતરરાષ્ટ્રીય બેંકોમાં તમે આ પ્રકારનું એકાઉન્ટ ખોલાવી શકૉ છો.તમારે તેમાં ફક્ત સૌથી છેલ્લે ભરેલાં ઈન્કમ ટેક્સ રીર્ટનની કોપી આપવાની રહે છે.વળી આ આંતરરાષ્ટ્રીય એકાઉન્ટ દેશમાં રહેલાં એકાઉન્ટ સાથે જોડાણ ધરાવતું નથી.

# ભારતીય બેંકોમાં ચેકીંગ એકાઉન્ટઃ

ભારતની મોટાભાગની મોટી બેંકો અમેરીકા,સીગાપુર,દુબઈ,બ્રીટન,હોંગકોંગ વગેરે જેવાં દેશોમાં પોતાની શાખાઓ ધરાવે છે.આમાંથી મોટાભાગની બેંકોમાં તમે ચેકીંગ એકાઉન્ટ ખોલાવી શકો છો.જેનાં દ્વારાં તમે વિદેશમાં પેમેન્ટ કરી શકો છો.ચેકીંગ એકાઉન્ટ એક પ્રકારનું કરન્ટ એકાઉન્ટ જ છે જેમાં બેંક તમને ચેક તથા એટીએમ કાર્ડ દ્વારાં પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવાની સુવિધા આપે છે.આ એકાઉન્ટમાં નાંણાં ઉપાડવા કે જમા કરાવવાની કોઈ નિશ્ચીત મર્યાદા હોતી નથી.


# ઈન્ટરનેટ ઓન્લી બેંકઃ


આ પ્રકારની બેંકો સામાન્ય રીતે વધુ વ્યાજ આપતી હોય છે.કારણકે આ પ્રકારની બેંકો ને માળખાગત સુવિધાઓ પર ખર્ચ કરવાનો હોતો નથી.તમે આ પ્રકારની બેંકોમાં પણ ઓનલાઈન એકાઉન્ટ ખોલાવી શકો છો.પરંતુ સલામતી ખાતર આ પ્રકારની  બેંકોમાં એકાઉન્ટ ખોલાવતાં પહેલાં તેનાં વિષે પુરેપુરી જાણકારી મેળવ્યા બાદ જ તેમાં એકાઉન્ટ ખોલાવવું હિતાવહ છે.જો આ પ્રકારની અમેરીકન બેંક હોય તો નીચે બતવેલ વેબસાઈટ પરથી તમે તારણ કાઢી શકો છો કે કઈ બેંકંમાં એકાઉન્ટ ખોલાવવું સલામત છે.આ વેબસાઈટ પર આ પ્રકારની બેંકોને રેટીંગ આપવામાં આવે છે.
http://www.bankrate.com/rates/safe-sound/ratings-structure.aspx


# વિદેશમાં લોકલ બેંકઃ


તમે જે દેશમાં રોકાણ કરવાનું ઈચ્છતા હો તે દેશની લોકલ બેંકમાં પણ તમે એકાઉન્ટ ખોલાવી શકો છો.તેનો કાયદો એ છે કે તમારા પૈસા ત્યાંની લોકલ કરન્સીમાં જ રહે છે અને તમારે તાત્કાલીક પૈસાની જરુરીયાત  ના હોય તો તમે ફોરેન એક્સ્ચેંજ રેટ ને ધ્યાનમાં રાખીને તે પ્રમાણે પૈસા ઉપાડી શકો છો.તેમજ આ બેંક તે દેશનાં કાયદા અને નિયમો થી વધારે પરિચીત હોય છે તેથી યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે છે.


અગત્યની નોંધઃ વિદેશમાં એકાઉન્ટ ખોલાવવા માટે તમારે ત્યાં રુબરુ જવાની જરુર રહેતી નથી.તમારી ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધારે હોવી જરુરી છે.વિદેશી ખાતામાં જમા રકમ તમારે ત્યાંની લોકલ કરન્સી અથવા    ડોલર,પાઉન્ડ કે યુરોમાં રાખવી જરુરી છે.જમા રહેલી રકમ બીજી કરન્સીમાં હોવાથી જ્યારે તમે તે રકમ ભારતમાં પરત લાવશો ત્યારે તે કરન્સીનાં એક્સ્ચેંજ રેટની અસર પણ તમારે ધ્યનમાં રખવી જરુરી છે.


એકાઉન્ટ ખોલવા માટેની પ્રક્રીયાઃ


(૧)સંપર્ક કરોઃ બેંકનાં ઓવરસીઝ બુકીંગ સેન્ટરનો સંપર્ક કરો તેનાં રિલેશનશીપ મેનેજર આપની સહાયતા કરશે.


(૨)જરુરી પુરાવાઓઃ એકાઉન્ટ ખોલાવવા માટે તમારે અમુક અગત્યનાં પુરાવાઓ રજુ કરવાનાં રહેશે જેમકે રહેઠાણનો પુરાવો,છેલ્લું આઈ.ટી.રીટર્ન,ઓળખનો પુરાવો તેમજ તમે જે રકમ જમા કરાવો છો તે રકમ    તમારી કાયદેસરની આવક છે તેનો આધાર તેમજ અમુક બેંકો તમારી અંહીયાની લોકલ બેંકનો લેટર ઓફ રેફરન્સ પણ પુરવા તરીકે માંગી શકે છે.


(૩) રકમ જમા કરાવવીઃવિદેશી બેંકની ઓવરસીઝ બ્રાંચમાં તમારા પોર્ટફોલીયોની અને તમારાં પુરાવાઓની યોગ્ય તપાસ પુરી કરી તમને તમારાં એકાઉન્ટમાં રકમ જમા કરાવવા માટેની સુચના આપશે.દરેક બેંકની લઘુતમ રકમ જમા કરાવવાની મર્યાદા જુદી જુદી હોય છે.જેમકે એચએસબીસી ઈન્ડીયામાં તમારે મીનીમમ ત્રણ લાખ રુપીયા જમા કરાવવા પડે છે.આ રકમ માં તમારું રોકાણ તેમજ સેવીંગ્સ એકાઉન્ટની બેલેન્સ એમ બંને વસ્તુઓ સામેલ હોય છે.આ રકમ જમા પહોંચ ભરીને જમા કરાવવાથી તમારું એકાઉન્ટ ચાલુ થઈ જાય છે..ત્યાર બાદ તમારાં ઈન્ટરનેશનલ એકાઉન્ટમાં આ પૈસા તમારા દેશી એકાઉન્ટ દ્વારાં ટ્રાન્સફર થઈ શકે છે.જેમાં ઈન્ટરનેશનલ બેંક એકાઉન્ટ તેમજ રોકાણ માટે પણ એક મીનીમમ બેલેન્સની રકમ જમા રાખવી પડતી હોય છે.જે એચએસબીસી ઈન્ટરનેશનલનાં કીસ્સામાં મીનીમમ ૨૫ હજાર પાઉન્ડ (અંદાજે ૧૮.૮૬ લાખ રુપીયા) જેટલી રકમ જમા કરાવવી પડતી હોય છે.


રોકાણ માટેનું માર્ગદર્શનઃ તમે જો વિદ્શમાં રોકાણ કરવા ઈચ્છતા હો તો બેંક આપની મદદ કરે છે.તમે ધારો કે વિદેશમાં મિલ્કત ખરીદવા માંગતા હો તો બેંક તેની સાથે જોડાયેલાં વિશ્વસનીય બ્રોકર્સ સાથે તમારી મુલાકાત કરાવી આપે છે.તેમજ એ સિવાયનાં રોકાણ સાધનો માટે પણ બેંક માર્ગદર્શન આપે છે.
સેવાનાં દર અને સુવિધાઓઃ


(૧) ફોન અને ઈન્ટરનેટ બેંકીંગઃફોન અને ઈન્ટરનેટ દ્વારાં તમને ૨૪ કલાક ફંડ ટ્રાન્સફર,એકાઉન્ટ બેલેન્સ,બેંક સ્ટેટમેંન્ટ વગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ રહે છે.દરેક બેંકનાં આ સેવાઓ માટેનાં દર જુદાં જુદાં હોય છે.


(૨)રોજીદી સેવાઓઃતમે દુનીયાનાં કોઈપણ દેશમાંથી તે બેંકનાં એટીએમ દ્વારાં પૈસા ઉપાડી શકો છો જેનાં પર કોઈ પ્રકારનો ટ્રાન્ઝેકશન ચાર્જ લાગતો નથી.પરંતુ તમે જો બીજી કરન્સીમાં ઉપાડ કરો છો કે જે તમારાં એકાઉન્ટની  કરન્સી નથી તો જે તે સમયનાં ફોરેન એક્સચેંજ નાં રેટ મુજબ તે રકમ ની ગણતરી કરવામાં આવશે અને તેનાં પર ૨.૫ ટકા કન્વર્ઝન ફી પણ આપવાની રહેશે.


(૩) સેવાનાં દરઃ તમારું એકાઉન્ટ જે બેંકમાં અને જે દેશમાં હોય તે મુજબ અલગ અલગ બેંકોનો સેવાનો દર અલગ અલગ હોય છે.એચએસબીસી ઈન્ટરનેશનલનાં એડવાન્સ એકાઉન્ટનો સેવાનો દર નીચે મુજબ   છે.


# ૧૫ પાઉન્ડ (૧૧૩૧ રુપીયા)- માસીક ફી.


# ૧૦ પાઉન્ડ (૭૫૫ રુપીયા) - મીનીમમ બેલેન્સ ચાર્જ,જે મહીને તમારું બેલેન્સ ૨૫૦૦૦ પાઉન્ડ (૧૮.૮૬ લાખ)થી ઓછું થાય ત્યારે.


# ૧ પાઉન્ડ - સ્ટૅટમેંટ ચાર્જ,વર્ષમાં એકવારથી વધારે વખત સ્ટેટમેંટ કઢાવવું હોય તો દરેક વખતે આ ચાર્જ ભરવાનો રહે છે.    

રવિવાર, 17 જુલાઈ, 2011

પોસ્ટ ઓફીસની મંથલી ઈન્કમ સ્કીમઃસલામતી સાથેની નિશ્ચીત આવક

આજનાં અનિશ્ચીત આર્થીક મહોલમાં જે લોકો ને પોતાનાં એક સાથેનાં રોકાણો પર નિશ્ચીત મુદત સુધી નિયમીત અને ખાત્રી પુર્વકની આવક ઉભી કરવી હોય તેનાં માટે ભારતીય પોસ્ટ ની મંથલી ઈન્કમ સ્કીમ એક ઉપયોગી રોકાણ સાધન બની શકે છે.ખાસ કરીને નિવ્રુત,વયો વૃધ્ધ તેમજ વિધવા કે ત્યક્તા સ્ત્રીઓ વગેરે પોતાને મળેલી એક સામટી રકમનું આ સ્કીમમાં રોકાણ કરીને સંપુર્ણ સલામતી સાથે દર મહીને નિશ્ચીત આવક મેળવી શકે છે.

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારાં નક્કી થયેલ પોસ્ટ ઓફીસ પરથી આ સ્કીમમાં રોકાણ કરી શકાય છે.આ મંથલી સ્કીમની મુદત ૬ વર્ષની છે.આ સ્કીમમાં જમા કરાવેલી રકમ પર ૬ વર્ષ સુધી વાર્ષીક ૮ ટકા નાં ધોરણે નિશ્ચીત વળતર આપવામાં આવે છે.જે દર મહીને ચુકવવામાં આવે છે.આ સ્કીમમાં સીંગલ તેમજ જોઈન્ટ એકાઉન્ટ એમ બંને પ્રકારનાં એકાઉન્ટ ખોલવાની સગવડતા આપેલ છે.આ સ્કીમ માં ઓછા માં ઓછું ૧૫૦૦ રુપીયાનું રોકાણ કરી શકાય છે તેમજ સીંગલ એકાઉન્ટમાં વધુમાં વધુ ૪.૫ લાખ અને જોઈન્ટ એકાઉન્ટમાં વધુમાં વધુ ૯ લાખનું રોકાણ કરી શકાય છે.કોઈપણ વ્યક્તિ ઉપર મુજબની રોકાણ મર્યાદામાં રહીને પોતાનાં નામે એક કરતાં વધારે એકાઉન્ટ ખોલાવી શકે છે.

છ વર્ષની પાકતી મુદત પહેલાં જ આ સ્કીમ બંધ કરાવી બધાં રુપીયા ઉપાડી લેવાં હોયતો એક વર્ષ પછી ઉપાડી શકાય છે પરંતુ એક થી ત્રણ વર્ષ સુધી ૨ ટકા અને ત્રણ વર્ષ પછી ૧ ટકા લેખે પેનલ્ટી લગાડવામાં આવશે.

આ મંથલી ઈન્કમ સ્કીમમાં વાર્ષીક ૮ ટકા લેખે વળતર ચુકવવામાં આવે છે તેમજ પાકતી મુદતે ૫ ટકા નું વધારાનું બોનસ પણ ચુકવવામાં આવશે.પાકતી મુદત પછી પણ જો મુડી જમા રાખવી હોય તો ૨ વર્ષ સુધી જમા રાખી શકાય છે જેનાં પર બચત ખાતા જેટલું વ્યાજ આપવામાં આવશે.આ સ્કીમમાં TDS કાપવામાં આવતો નથી અને આ સ્કીમમાં થયેલી આવક પર લાગુ પડ્તાં ઈન્કમ ટેક્સનાં સ્લેબ મુજબ ટેક્સ ચુકવવાનો રહેશે.

શુક્રવાર, 17 જૂન, 2011

જીવન વીમા (લાઇફ ઈન્શ્યુરન્સ) નું આપણાં જીવનમાં કેટલું મહત્વ ?

આપણાં કોઈ સગાં વ્હાલાં,મીત્ર કે કોઈ ઓળખીતા નો આપણ ને ફોન આવે કે મેં જીવન વીમા નું કામ ચાલું કર્યું છે અને મારે એ બાબતે તમને મળવું છે તો આપણો પહેલો જવાબ શું હશે???કાં તો આપણે તેને ચોખ્ખી નાં પાડી દેશું અથવા તો કહેશું કે અરે મેં તો હજુ ગયા મહીને જ એક પોલીસી લઈ લીધી કાં કહેશું કે હમણાં પૈસાની સગવડ્તા નથી વગેરે વગેરે,,,,,ટુંકમાં આપણે તેને જુદાં જુદાં કોઈપણ પ્રકારનાં બહાનાં બતાવી ને ટાળવાનો પ્રયત્ન કરશું.સાવ દેશી ભાષામાં કહું તો આપણે તેને 'ઠેકાડી'એ ,બરાબર ને??આપણે જીવન વીમો લેવાં માટે ક્યારેય આસાની થી તૈયાર થતાં નથી અને જો આપણે એકાદ બે પોલીસી લીધી પણ હશે તો એ પણ કાં તો સંબંધ રાખવા ખાતર પરાણે અથવા તો ટેક્ષ બચાવવા માટે લીધી હશે.બહુ ઓછાં લોકોએ વીમાનો સાચો ઉપયોગ સમજીને વીમાની પોલીસી લીધી હશે કારણકે પહેલી નજર થી જોઈએ તો હકીકતમાં આપણને દેખીતી રીતે વીમાની કોઈ જરુરીયાત દેખાતી નથી કારણકે વીમો ના લેવાંથી આપણી જીંદગીમાં કોઈ સીધૉ મોટો ફરક આપણને દેખાતો નથી.વાસ્તવમાં આપણને ખબર જ નથી કે અપણે વીમો લેવો જોઈએ કે નહીં ?



આમ પણ એક હ્યુમન સાઈકોલોજી છે કે જ્યાં સુધી આપણને કોઈ વસ્તુ કે સેવાની પુરે પુરી જરુરીયાત નાં જણાંય ત્યાં સુધી આપણે ક્યારેય કોઈ પણ
ખરીદી કરતાં નથી એટ્લે કે આપણે બહુ આસાની થી ખીસ્સામાં હાથ નાંખતાં નથી.જીવનવીમો એક એવી વસ્તુ છે કે પહેલી નજરે આપણ ને તેની જરુરીયાત લાગતી નથી.આપણાં કપડાં ફાટી ગયાં હોય તો આપણને નવાં લેવાંની જરુરીયાત જણાંય એટ્લે આપણે નવાં કપડાં લઈએ છીએ,એવી રીતે આપણી દરેક ખરીદી આપણી જરુરીયાત ને આધીન હોય છે.
હવે જીવન વીમા માં તો આપણને આવી કોઈ તાત્કાલીક જરુરીયાત દેખાતી નથી.કયારેય એવું બન્યું કે આપણને માથું દુઃખતું હોય અને ડોક્ટરે આપણને કહ્યું હોય કે એક કામ કરો જીવન વીમાની એક પોલીસી લઈ લો એટ્લે માથું દુઃખતું બંધ ! કહેવાનો મતલબ કે જીવન વીમો લેવાંથી કે ના લેવાથી આપણી જીદગીને તાત્કાલીક રીતે કોઈ ફાયદો કે નુક્સાન થતું નથી એટલાં માટે જ્યારે કોઈ વીમાની વાત કરે એટ્લે આપણો પહેલો જવાબ નાં હોય છે.
તો હવે આપણે જાણીએ કે ખરે ખર આપણે જીવન વીમાની જરુર છે કે નહીં ? 

જીવન વીમો આ શબ્દ જ આપણી જીંદગી સાથે જોડાયેલો છે તો આપણે જીવન વીમાની જરુરીયાત છે કે નહીં તે આપણાં બધાંની જીંદગી સાથે જોડાંયેલાં બે કડવાં સત્યો કે બે કડવી વસ્તવીક્તાઓ દ્વારાં સમજીએ.


આપણાં જીવનનાં બે કડવાં સત્યો છેઃ મૌત અને નિવૃતી.

આ બંને કડવાં સત્યો આપણાં બધાંનાં જીવનને લગભગ સમાન રીતે લાગુ પડે છે.

મૌત



જેનો જન્મ છે તેનું મૃત્યું નીશ્ચીત છે. આપણે બધાંએ એક દિવસ મરવાનું જ છે.મૄત્યુ એ એક સનાતન સત્ય છે.મૄત્યુ નિશ્ચીત છે પરંતુ તેનો સમય અનિશ્ચીત છે.કૉણ ક્યારે મરવાનું છે તે કોઇને ખબર નથી.બધાંને ખબર છે કે આપણે એક દિવસ મરવાનું જ છે પરંતુ મરવું કોઇને નથી.હકીકત માં આપણે મૄત્યુથી એટલાં બધાં ડરીએ છીએ કે આપણે પણ એક દિવસ આ પૄથ્વી ઉપર નહીં હોઇએ તે વાસ્તવીક્તા હોવા છતાં આપણે જાણે કોઈ દિવસ મરવાનાં જ નથી એવાં વહેમમાં અને અભીમાનમાં જીવતાં હોઇએ છીએ.સામાન્ય રીતે ક્યારેય આપણે આપણાં મરવાનો વિચાર પણ નથી કરતાં.ક્યારેય કોઇને પોતાની સ્મશાન યાત્રાનું સપનું આવ્યું છે ? બીજાં જુદાં જુદાં ઘણાં પ્રકારનાં સપનાંઓ આપણને આવતાં હોય છે પરંતું આપણાં મૌતનું સપનું આપણને ક્યારેય આવતું નથી.તો હવે સવાલ એ છે કે આપણે ક્યારેય આપણાં મૄત્યુનો પણ વિચાર નથી કરતાં તો પછી આપણાં મૄત્યુ પછી આપણાં પરીવાર ઉપર તેની શૂં અસર થાય એ તો બહુ દુરની વાત થઈ ગઈ.એટલું લાંબુ તો કોણ વિચારે ? 



આપણાં મૄત્યુ પછી આપણાં પરીવાર ઉપર તેની બે પ્રકારની અસર થાય છે.એક છે ઇમોશનલ લોસ અને બીજો છે ફાયનાન્સિયલ લોસ.આપણે મરી જાઇએ તો આપણો પરીવાર દુઃખી દુઃખી થઈ જાય.આપણાં વગર જીવન કેમ વીતાવવું એ પણ એક સવાલ થઈ પડે.આ છે ઇમોશનલ લોસ,તેનો ઇલાજ એક જ છે સમય,જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ તે લોકો સત્ય સ્વીકારીને જીવન જીવવા લાગે છે અને સમયનાં વહેણમાં દુઃખ વિસરાતું જાય છે.
આપણાં મૄત્યુની આપણાં પરીવાર ઉપર બીજી અસર છે ફાયનાન્સિયલ લોસ - આર્થીક નુકસાન ,આપણે જીવતાં હોઇએ,આપણે કમાતાં હોઇએ તે કમાણીમાંથી આપણાં પરીવારનું ગુજરાન ચાલતું હોય છે.આપણું મૄત્યુ થાય એટલે આપણી આવક પણ બંધ થઈ જાય છે પરંતુ ખર્ચાઓ તો ચાલુ જ હોય છે.આવાં સંજોગોમાં એક પરીવાર આવક વગર કેટલો સમય જીવન પસાર કરી શકે.આપણાં મૄત્યુ પછી સગાં-વ્હાલાં,મીત્રો બધાં લોકો સંત્વનાં કે આશ્વાસનનાં બે શબ્દો આપવા આવશે પણ કોઇ રુપીયાનું બંડલ લઈને આપણાં પરીવારને દેવા નહીં આવે.આવાં સમયે આપણાં પરીવારને જીંદગી જીવવા માટે સૌથી પહેલી જરુર રુપીયાની પડશે.પૈસા હશે તો આપણાં પરીવારને કોઈ પાસે ભીખ માંગવા જવું નહીં પડે.આપણાં મૄત્યુ પછી આપણાં પરીવારને એક નિશ્ચીત રકમ આપવાની ખાતરી લાઈફ ઈન્શ્યુરન્શ આપે છે.આ રકમથી પરીવારને જીંદગી જીવવાનો ટેકો મળી જાય છે.લાઇફ ઇન્શ્યુરન્સ આપણાં પરીવારને એક આર્થિક સુરક્ષા કવચ પુરું પાડે છે.જેમ બને તેમ મોટી રકમનો વીમો લઈ આપાણાં પરીવારને સંપુર્ણ આર્થૉક સુરક્ષા આપવી તે આપણાં સૌ નું કર્તવ્ય છે.આપણાં પરીવાર પ્રત્યેની આપણી ફરજ છે અને આપણી જવાબદારી પણ છે. 

નિવૄતીઃ


નિવૄતી પણ આપણાં જીવનનું એક કડવું સત્ય છે.જો આપણે વહેલાં ના મરીએ તો લાંબુ જીવવાનાં છીએ,તો હવે લાંબુ જીવીએ તો પણ ઉપાધી.જ્યાં સુધી આપાણે કામ કરતાં હોઇએ ત્યાં સુધી આપણી એક નિશ્ચીત આવક ચાલુ રહે છે પણ જેવાં નિવૄત થઈએ એટલે આવક બંધ થઈ જાય પરંતુ ખર્ચાઓ તો ચાલુ જ રહેવાનાં છે.અને હવેનાં સંતાનો આખી જીંદગી માં બાપ ને સારી રીતે જ સાચવે તેની કોઈ ખાતરી રહી નથી એ પણ એક સનાતન સત્ય છે જે આપણે સ્વીકારીને જ ચાલવું જોઇએ.પણ જો આપણી નિવૄતી પછી પણ,કામ કર્યા વગર એક નિશ્ચીત રકમ નો ચેક દર મહીને આવતો હોય તો એ ઉંમરે આપણે કોઇ પાસે ભીખ માંગવી ના પડે કે કોઈ આગળ ઓશીયાળાપણું ન કરવું પડે.પરંતુ તેનાં માટે આપણે જ્યારથી કમાતા થઈએ ત્યારથી જ આપણે નીયમીત બચત કરવી જોઈએ.તો લાઇફ ઇન્શ્યુરન્શ એ આપણિ નિવૄતી નાં નાંણાંકીય આયોજન માટે પણ મદદ કરે છે.લાઈફ ઈન્શ્યુરન્શમાં નીયમીત બચત કરવાથી પાકતી મુદતે એક નીશ્ચીત મોટી રકમ આપણને મળે છે જે રકમનું પેન્શન યોજનાંમાં રોકાણ કરી ને જીવીએ ત્યાં સુધી એક નીયમીત આવક મેળવી શકાય છે.


આમ,લાઈફ ઇન્શ્યુરન્શ એ જો આપણે વહેલાં મૄત્યુ પામીએ તો આપણાં પરીવારને ખાતરીપુર્વક ની નાંણાંકીય સુરક્ષા પુરી પાડે છે અને જો આપણે લાંબુ જીવીએ તો પણ આપણી નિવૄતી પછીનાં નાંણાંકીય આયોજનમાં માદદ કરે છે.લાઇફ ઇન્શ્યુરન્શ એ આપણાં માટે એક વરદાન રુપ છે અને આજનાં સમયમાં લાઇફ ઈન્શ્યુરન્શ એ રોકાણ માટેનું એક ઉતમ સાધન છે.