ગુરુવાર, 12 નવેમ્બર, 2009

ધંધા માટે મુડી મેળવવી હવે સહેલી છે.

જો તમારી પાસે નવો વિચાર,આવડત અને તનતોડ મહેનત કરવાની તૈયારી હોય તો 'વેન્ચર કેપીટાલીસ્ટો' મુડી લગાવવા તૈયાર છે.
એક જમાનો એવો હતો કે લોકો પાસે નવીનતમ પ્રકારનો ધંધાનો વિચાર હોય,આવડત હોય અને મહેનત કરવાની તૈયારી પણ હોય પરંતુ પુરતી મુડીનાં અભાવે કાં તો એ વિચાર પડ્તો મુકવો પડતો અથવા તો તે ધંધાનો જોઈએ તેટલો વિકાસ ના કરી શકતાં.ઉધોગ સાહસિકોને ધંધા માટે લોન મેળવવામાં નાકે દમ આવી જતો તેવી પરિસ્થિતિ હતી.પરંતુ હવે યુગ બદલાયો છે.હવે ધંધા માટે મુડી ઉભી કરવા માટે બેંકોની મૌતાજી કરવાની જરુર નથી.જો તમારી પાસે ધંધાનો કોઈ નવીનતમ વિચાર હોય અને સાથે સાથે તમારાં માં આવડ્ત અને મહેનત કરવાની લગન હોય તો હવે તમે ધંધા માટે સહેલાઈ થી મુડી મેળવી તમારા ધંધાને વિશ્વકક્ષાએ લઈ જઈ શકશો.તમે ધારો તેટલો તેનો વિકાસ કરી શકશો.મુડીનો અભાવ હવે તમારાં માટે બાધારુપ નહીં બને.ભારતમાં વેન્ચર કેપીટાલીસ્ટોની ફૌજ તમારાં ધંધામાં મુડી રોકી તમારાં ભાગીદાર બનવા માટે તૈયાર ઉભી છે.
'વેન્ચર કેપીટલ' એટલે શું?
વેન્ચર કેપીટલનો સાવ સરળ અર્થ કાઢીએ તો વેન્ચર કેપીટલ એટલે કોઈ નવા વ્યવસાય કે સાહસ માં રોકાણ કરવું.જ્યારે કોઈ ઉધોગ સાહસિક પોતાનો ધંધો શરુ કરે અને તેને મુડી ની જરુર હોય તો તે એવાં રોકાણકારની શોધ કરે કે જે ભવિષ્યનાં મોટાં લાભની આશાએ તેનાં સાહસમાં રોકાણ કરવા તૈયાર થઈ જાય.મુડી મેળવવાનાં આ પ્રકાર ને વેન્ચર કેપીટલ કહે છે.
વેન્ચર કેપીટાલીસ્ટ એટલે શું?
તાજેતર માં જ આપણે સમાચારો માં વાંચ્યું કે ઈન્ફોસીસ કંપનીનાં સ્થાપક નારાયણ મુર્તી એ ઈન્ફોસીસ નાં આઠ લાખ શેર્સ વેંચીને ૧૭૪.૩૦ કરોડ રુપીયાની મુડી ઉભી કરી અને તે હવે આ મુડી વડે 'કેટામારન' નામની પોતાની એક વેન્ચર કેપીટલ કંપની ઉભી કરે છે.એટલે કે નારાયણ મુર્તી હવે 'વેન્ચર કેપીટાલીસ્ટ' બની ગયા.નારાયણ મુર્તી ની જેમ જ ભારતનાં બીજાં ઘણાં મોટાં ઉધોગ ગ્રુહો એ પણ પોતાની વેન્ચર કેપીટલ કંપની શરુ કરી છે.તેઓ હવે ભારતમાં ઉધોગ સાહસિક્તાને પ્રોત્સાહન આપવા તેમજ પોતાનાં રોકાણો પર ભવિષ્યમાં તગડું વળતર મેળવવાની આશા એ નવાં ઉધોગ સાહસો માં મુડી રોકાણ કરશે.ભારતમાં વેન્ચર કેપીટાલીસ્ટો નો એક નવો વર્ગ ઉભો થયો છે કે જેઓ પોતાની મુડી લગાડી બીજાની મહેનતે પોતે રુપીયા કમાશે.વેન્ચર કેપીટલ ફંડ એ ઉધોગ સાહસિક અને વેન્ચર કેપીટાલીસ્ટ બંને માટે એક સરખું ફાયદા રુપ છે.કારણ કે ઉધોગ સાહસિક ને ધંધાનાં વિકાસ માટે મુડી ની જરુરીયાત છે જ્યારે વેન્ચર કેપીટાલીસ્ટ ને ભવિષ્યમાં ઉંચું વળતર મળે તેવી જગ્યા એ પોતાની મુડીનું રોકાણ કરવું છે.એટ્લે બંને પક્ષની જરુરીયાતો વેન્ચર કેપીટલ ની વ્યવસ્થાથી સંતોષાય છે.
વેન્ચર કેપીટલ કેવી રીતે મેળવશો?
વેન્ચર કેપીટલ મેળવવા માટે ઉધોગકારે થોડી જટીલ પ્રક્રીયામાંથી પસાર થવું પડે છે.સૌ પ્રથમ તો તમારે તમારો સંપુર્ણ બીઝ્નેશ પ્લાન તૈયાર કરવૉ પડે છે.જેમાં તમે જે ધંધો કરવા માંગો છો અથવા તો કરો છો તેનાં વિશેની સંપુર્ણ વિગતો એટલે કે ધંધાનું સ્વરુપ,વિકાસની તકો,હરીફાઈ,હરીફોની વિગતો,તમારી આવડત,તમારી મુડી,બીઝનેશ પ્રોજેક્શન,સંભવીત નફો,મુડીની જરુરીયાત વગેરે બાબતો નો સમાવેશ બીઝનેશ પ્લાન માં થાય છે.બીઝનેશ પ્લાન તૈયાર થઈ ગયા બાદ જુદી જુદી વેન્ચર કેપીટલ કંપનીઓ ને તે બીઝનેશ પ્લાન મોકલાવો જે કંપની ને તમારાં બીઝનેશ માં રસ પડશે તે વેન્ચર કેપીટલ કંપની તમને રુબરુ મળવા માટે બોલાવશે અને તમારી પાસે થી વધારે વિગતો મેળવશે તેમજ તમારી કાબેલીયત ચકાસશે અને ધંધાનાં સારાં ખરાબ પાસાઓની તમારી સાથે વિગતવાર ચર્ચા કરશે.જરુર પડશે તો તે ક્ષેત્રનાં નિષ્ણાંતોની પણ તે સલાહ લેશે.આમ,બધું જો સમુ સુતરું ઉતરે તો તેઓ તમને વેન્ચર કેપીટલ ફંડ આપી તેનાં પ્રમાણમાં તમારી કંપનીનાં શેરનૉ હિસ્સો મેળવશે.
આ બાબતે વધારે માહીતી આપ 'ઇન્ડીયન વેન્ચર કેપીટલ એશોશીયેશન' ની વેબ સાઈટ www.indiavca.org પર થી મેળવી શકશો.

બુધવાર, 7 ઑક્ટોબર, 2009

આપણાં રોકાણોનો 'પીરામીડ' કેવો હોવો જોઈએ?

આપણાં રોકાણોનો 'પીરામીડ' કેવો હોવો જોઈએ?
'પીરામીડ'વિશે તો આપણે સૌ જાણીએ છીએ.ઈજીપ્તની ધરતી પર સદીઓથી અડીખમ,અડગ ઉભેલાં પીરામીડ એ આદર્શ સ્થાપત્યનો ઉતમ નમુનો છે.સદીઓથી ઊભેલાં પીરામીડો એ કેટ કેટલાંએ તોફાનો,ધરતીકંપ,હોનારતો,યુધ્ધો વગેરે જોયા હશે પરંતુ તે બધાંની વચ્ચે પણ પીરામીડ અડગ અને અડીખમ આજે પણ ઉભાં છે.તેનું કારણ એ છે કે પીરામીડ નું સ્ટ્ર્કચર એ રીતે તૈયાર કરવામાં આવેલું છે કે તેને દુનીયાનાં કોઈપણ તોફાનો હચમચાવી શકે જ નહીં.આપણાં રોકાણૉનાં સંદર્ભમાં જોઈએ તો આપણાં રોકાણોનો પીરામીડ પણ આવો જ હોય તો કેવું સારું?એટ્લે કે આપણાં રોકાણોનું સ્ટ્ર્કચર પણ એવું હોવું જોઈએ કે ગમે તેટલાં આર્થીક તોફાનો આવે જેમ કે વૈશ્વિક મંદી,આર્થીક કૌભાંડૉ,ડિમેટ સ્કેમ,હર્ષદ મહેતા સ્કેમ,કેતન પારેખ સ્કેમ કે સત્યમ સ્કેમ જેવાં કોઈપણ તોફાનો આવે તો પણ આપણાં રોકાણોનો પીરામીડ પણ ઈજીપ્ત નાં પીરામીડ ની જેમ જ અડીખમ અને અડગ ઉભો રહે.આ માટે વિશ્વનાં નિષ્ણાંત રોકાણ સલાહકારોએ રોકાણ માટેનાં એક આદર્શ પીરામીડ ની ભલામણ કરેલી છે જો આપણે પણ આપણાં રોકાણો આ મુજબ કરીએ તો આપણાં જીવનમાં આપણે તેમજ આપણાં પરીવારે ક્યારેય નાણાંકીય કટોકટીનો સામનો કરવો ના પડે.
રોકાણો નો 'પીરામીડ'
પહેલું રોકાણઃ ટર્મ ઈન્શ્યુરન્સ પોલીસી
આપણે કમાતાં થઈએ અને કુલ ઘરખર્ચ બાદ કરતાં જો આપણે થોડી ઘણી બચત કરી શકીએ તે મુજબની જો આપણી આવક હોય તો સૌ પ્રથમ કોઈપણ લાઈફ ઈન્શ્યુરન્સ કંપનીનો એક ટર્મ પ્લાન પોતાનાં જીવન પર લેવો જોઈએ.ટર્મ પ્લાન પ્રમાણમાં ખુબજ સસ્તાં હોય છે તેથી જેમ બને તેમ મોટી રકમનો વિમો લેવામાં આવે તો વધું સારું.આમ ટર્મ પ્લાન એ આપણાં રોકાણો નાં પીરામીડ નાં ચણતરની દિશા માં પહેલું પાયારુપી પગથીંયું છે.ટર્મ પ્લાન લેવાંથી સૌ પ્રથમ આપણે આપણાં પરીવારને સંપુર્ણ સુરક્ષા આપી દઈએ છીએ જેથી ભવીષ્યમાં આપણે ન પણ હોઈએ તો પણ આપણો પરીવાર નાણાંકીય કટૉ કટી માં સપડાતો નથી.
બીજું રોકાણઃ હોલ લાઈફ ઈન્શ્યુરન્સ પોલીસી
ટર્મ પ્લાનમાં રોકાણ કર્યાં પછી જો આપણી આવકમાં વધારો થાય અને કુલ ઘરખર્ચ તેમજ ટર્મ પ્લાનનું પ્રીમીયમ બાદ કરતાં પણ જો રકમ બચાવી શકાય તો બીજું રોકાણ આપણે કોઈપણ લાઈફ ઈન્શ્યુરન્સ કંપનીનાં હોલ લાઈફ પ્લાનમાં કરવું જોઈએ.હોલ લાઈફ પ્લાનમાં રોકાણ કરવાથી તમે તમારા કુટુંબ માટે જીંદગીભર ની નાણાંકીય સુરક્ષા તો મેળવો જ છો સાથે સાથે તમારાં માટે પણ તમે પાછળની જીંદગી ખુબ સારી રીતે વિતાવી શકો તે માટેનું નિશ્ચિત આયોજન અત્યારથી કરી લ્યો છો.
ત્રીજું રોકાણઃબેંક FD,સોનું,PPF,નાની બચત વગેરે
ઉપરનાં બે તબક્કા પસાર કર્યા પછી જો આપણી આવકમાં વધારો થયો હોય અને આપણે કુલ ઘરખર્ચ બાદ કરતાં પણ જો વધારે રકમ બચતી હોય તો હવે બેંક FD,સોનું,PPF,નાની બચત વગેરે જેવાં ઓછાં વળતર આપનારાં પણ સંપુર્ણ સલામત એવાં નાણાંકીય રોકાણનાં સાધનોમાં બચત કરી શકાય છે.પરંતુ જેમ આપણે વિમાનું પ્રીમીયમ નીયમીત રીતે ભરીએ છીએ તેમ જ આવાં સાધનોમાં પણ નીયમીત રીતે રોકાણ કરતું રહેવું જોઈએ.
ચોથું રોકાણઃમ્યુચલ ફંડ(શેરબજાર આધારીત)
ઉપર મુજબનું નીયમીત રોકાણોનું આયોજન કર્યાં પછી પણ જો હજુ રકમ બચતી હોય તો શેરબજાર આધારીત મ્યુચલ ફંડમાં રોકાણ કરી થોંડું જોખમ લઈ શકાય.સીધું જ શેરમાં રોકાણ કરવાં કરતાં મ્યુચલ ફંડ દ્વારાં શેર માં રોકાણ કરવું વધારે હિતાવહ છે કારણ કે મ્યુચલ ફંડ કંપની નાં ફંડ મેનેજર્ર્સ જુદી જુદી કંપનીઓનાં શેર્ર્સ વિશે રાત દિવસ અભ્યાસ કરતાં હોય છે તેઓ તેનાં નિષ્ણાંત હોય છે તેથી આપણે કોઈની ટિપ્સમાં ભરમાઈન્ર કે છાપાંમાં વાંચીને શેર ખરીદવા કરતાં મ્યુચલ ફંડ દ્વારાં શેરમાં રોકાણ કરવું નાનાં રોકાણકારો માટે વધારે હિતાવહ છે તેમજ રોકાણો સામે વધારે ઉંચું વળતર મળવાની પણ સંભાવનાં છે પરંતુ આ રોકાણ જો લાંબાગાળા માટેનું હોય તો જ તેમાંથી મોટાં વળતરની અપેક્ષા રાખી શકાય.
પાંચમું રોકાણઃશેર (ઈક્વીટી)
ઉપર મુજબનાં રોકાણનાં તબક્કા પાર કર્યાં પછી તમે શેરબજારમાં સીધું રોકાણ કરી શકો છો અને વધારે જોખમ લઈ મોટાં વળતરની અપેક્ષા રાખી શકાય છે.આ તબક્કે શેર બજારમાં રોકાણ કરવાથી તમને શેર બજારનાં ઉતાર ચઢાવ કે જોખમો ની બહુ ચિંતા નહીં રહે કારણકે તમે હવે રોકાણનાં એવાં તબક્કે પહોંચી ગયા છો કે તમે તેમજ તમારો પરીવાર સંપુર્ણ નાણાંકીય સુરક્ષા ધરાવતો હશે.તેથી આ તબક્કે તમે લાંબાગાળા માટે શેર માં રોકાંણ કરી ખુબ જ મોટું વળતર પણ મેળવી શકો છો.કોઈપણ કંપનીનાં શેર લેતાં પહેલાં તે કંપની વિશે ખુબ ઉંડો અભ્યાસ કરવો બહુ જરુરી છે ત્યાર બાદ શેર માં રોકાણ કરવું જોઈએ અને તે પણ લાંબાગાળા માટૅનું જ રોકાણ હોવું જોઈએ કારણકે ટુંકાગાળા માટે શેરની લે-વેંચ કરવી એ જુગારીઓનું કામ છે રોકાણકારો નું નહીં.
છઠું રોકાણઃજમીન,આર્ટ,કોમોડીટી વગેરે
હજુ તમારી આવક વધતી જ જાય છે અને ઉપર મુજબ નાં તમામ રોકાણ સાધનો માં મોટી રકમનું નિયમીત રોકાણ કર્યાં પછી પણ જો તમારી પાસે વધારે રુપીયા બચતાં હોય તો તમે જમીન,આર્ટ,કોમોડીટી વગેરે જેવાં ખુબ જ જોખમી પરંતુ સાથે સાથે ખુબ જ મોટો નફો પણ રળી આપવાની સંભાવાનાં ધરાવતાં આવાં સાધનો માં રોકાણ કરી શકો છો.

જો આપણે જીવનમાં શીસ્તબધ્ધ રીતે ઉપર મુજબ તબક્કા વાર રોકાણ કરીએ તો આપણો રોકાણોનો પીરામીડ પણ ઈજીપ્ત નાં પીરામીડ જેવો મજબુત અને અડીખમ બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.---- હેપ્પી ઈન્વેસ્ટીંગ.

ગુરુવાર, 23 જુલાઈ, 2009

બજેટ ૨૦૦૯-૧૦ - પર્સનલ ઈન્કમટેક્ષ ને લગતાં સુધારાઓ અને તેની અસરો

બજેટ -૦૯,આમ તો ભારત નાં તમામ ક્ષેત્રો માટે નિરાશાજનક રહ્યું છે.ઈન્કમટેક્ષને લગતાં સુધારાઓની બાબતમાં પણ લોકોને નાણાંમંત્રી પાસેથી ઘણીબધી અપેક્ષાઓ હતી.પરંતુ તે અપેક્ષાઓ આ બજેટ્માં સંતોષાઈ નથી.તેમ છતાં બજેટ-૦૯ માં વ્યક્તિગત આવકવેરાની બાબતમાં થોડા સુધારાઓ કરવામાં આવ્યાં છે.આજે આપણે તે સુધારાઓ અને તેની આપણાં પર્સનલ ઈન્કમટેક્ષ પર થતી અસરો વિશે ચર્ચા કરીશું.

# પર્સનલ ઈન્કમટેક્ષ માં થયેલાં સુધારાઓ
૧, ઈન્કમટેક્ષની મુક્તિ મર્યાદામાં વધારો
૨ ,ઈન્કમટેક્ષનાં ૧૦% સરચાર્જની નાબુદી
૩, સેક્શન ૮૦ DD મુજબની મુક્તિ મર્યાદામાં વધારો
૪, સેક્શન ૮૦ E નાં વ્યાપમાં વધારો
૫, ઈન્કમટેક્ષનાં ફોર્મમાં સરળતા

#૧- ઈન્કમટેક્ષની મુક્તિ મર્યાદામાં વધારો
આ બજેટમાં વ્યક્તિગત ઈન્કમટેક્ષમાં વાર્ષીક આવક પર આપવામાં આવતી મુક્તિ મર્યાદામાં નજીવો વધારો કરવામાં આવ્યો છે.વરિષ્ઠ નાગરીકો માટે છુટની મર્યાદા ૨,૨૫,૦૦૦ થી વધારીને ૨,૪૦,૦૦૦ કરવામાં આવી છે.એટ્લે કે વરીષ્ઠ નાગરીકોને તેમની કુલ વાર્ષીક આવક ૨,૪૦,૦૦૦ સુધીની હોય ત્યાં સુધી તેનાં પર ઈન્કમટેક્ષ લાગશે નહીં.આમ,વરિષ્ઠ નાગરીકોની ઈન્કમટેક્ષ મુક્તિ મર્યાદામાં રુ.૧૫,૦૦૦ નો વધારો કરવામાં આવ્યો છે.એ સિવાય તમામ પુરુષો અને મહીલાઓની ઈન્કમટેક્ષ મુક્તિ મર્યાદામાં રુ.૧૦,૦૦૦નો વધારો કરવામાં આવ્યો છે.જે પુરુષો માટે ૧,૫૦,૦૦૦ થી વધારીને રુ.૧,૬૦,૦૦૦ અને મહીલાઓ માટે રુ.૧,૮૦,૦૦૦ થી વધારીને ૧,૯૦,૦૦૦ કરવામાં આવી છે.
# તેની અસરઃ
વ્યક્તિને પોતાની વાર્ષીક આવકનાં પ્રમાણમાં જે તે સ્લેબ મુજબ ગણતરી કરતાં ઈન્કમટેક્ષની રકમમાં નજીવો ફાયદો થશે.
#૨- ઈન્કમટેક્ષ પરનાં ૧૦% સરચાર્જની નાબુદી
વાર્ષીક દસ લાખ કરતાં વધારે આવક ધરાવનારને જે તે સ્લેબ મુજબ લાગતાં ઈન્કમટેક્ષ સિવાય તેનાં પર વધારાનો ૧૦% સરચાર્જ ભરવાનો થતો હતો.બજેટ ૦૯-૧૦ માં આ ૧૦% સરચાર્જની નાબુદી કરવામાં આવી છે.
#તેની અસર
૧૦% સરચાર્જની નાબુદીને લીધે દસ લાખ કરતાં વધારે આવક ધરાવનારને ઈન્કમટેક્ષમાં મોટી રાહત મળશે.દા.ત.કોઈની વાર્ષીક આવક રુ.૧૫ લાખ હોય તો તેણે રુ.૩,૫૫,૦૦૦ ટેક્ષ ભરવાનો થાય અને રુ. ૩૫,૫૦૦ સરચાર્જ (૩% એજ્યુકેશન સેસ સિવાય) ભરવાનો થતો હતો પરંતુ ૧૦% સરચાર્જની નાબુદી થતાં હવે થી તેને ઈન્કમટેક્ષમાં વાર્ષીક રુ.૩૫,૫૦૦ નો ફાયદો થશે.
# ૩- સેકશન ૮૦ DD મુજબની મુક્તિ મર્યાદામાં વધારો
જો કોઈ વ્યક્તિનાં કુટુંબમાં અપંગ વ્યક્તિ તેને આધારીત જીવતો હોય તો ઈન્કમટેક્ષ નાં સેકશન ૮૦ DD મુજબ તેને તેની આવકમાંથી રુ.૭૫,૦૦૦ સુધીની રકમ બાદ મળતી હતી આ મર્યાદા બજેટ ૦૯-૧૦ માં વધારીને રુ.૧,૦૦,૦૦૦ સુધીની કરવામાં આવી છે.
# તેની અસર
કુટુંબમાં અપંગ વ્યક્તિ પોતાનાં આધારીત હોય તેવી વ્યક્તિની વાર્ષીક આવક ની ઈન્કમટેક્ષનાં જે તે સ્લેબ મુજબ ગણતરી કરતાં વધુ માં વધુ તેને રુ.૭,૫૦૦ સુધીની વધારાની રાહત આ જોગવાઈને લીધે મળવા પાત્ર છે.
#૪- સેકશન ૮૦ E નાં વ્યાપમાં વધારો
એજ્યુકેશન માટે લીધેલ લોન માટે ભરવામાં આવેલ વ્યાજની રકમને સેક્શન ૮૦ ઈ મુજબ ઈન્કમટેક્ષમાંથી મુક્તિ મળે છે.આ મુક્તિ અત્યાર સુધી ફક્ત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનનાં અમુક અભ્યાસક્રમો જેમ કે એન્જીનીયરીંગ,મેડીસીન અને મેનેજમેન્ટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં વિજ્ઞાન,ગણિત અને અંક ગણિતનાં અભ્યાસક્રમો માંજ લાગુ પડતી હતી.પરંતુ હવે થી આ બજેટમાં તેનો વ્યાપ વધારીને હવે થી દરેક પ્રકારનાં અભ્યાસક્રમો માટે લીધેલી લોનનાં ભરપાઈ થયેલાં વ્યાજ માટે આ મુક્તિ મર્યાદા લાગુ પડ્શે.
# તેની અસર
જો તમે ભણતર માટે લોન લીધેલી હશે અને અત્યાર સુધી તેમાં આ મુક્તિ મર્યાદા લાગુ પડ્તી નહીં હોય તો હવે થી તમે આ મુક્તિ મર્યાદાનો લાભ લઈ ઈન્કમટેક્ષમાંથી રાહત મેળવી શકો છો.
#૫- ઈન્કમટેક્ષ રીટર્ન નાં ફોર્મમાં વધારે સરળતા - સરલ - ૨
આ બજેટમાં ઈન્કમટેક્ષ રીટર્નનાં ફોર્મ હજી વધુ સરળ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
#તેની અસર
આ જોગવાઈને લીધે ઈન્કમટેક્ષનાં રીટર્ન ભરવાનું તમામ વર્ગનાં લોકો માટે વધુ સરળ બનશે અને વધુ ને વધુ લોકો પાન નંબર કઢાવીને ઈન્કમટેક્ષ ભરતાં થશે તેવી આશા સેવાઈ રહી છે.

બુધવાર, 15 જુલાઈ, 2009

બજેટ-૦૯ દેશનાં નાનાં રોકાણકારોની આશાઓ પર ઠંડુ પાણી રેડાયું

દિવા સ્વપ્ન સમાન બજેટમાં કોઈ નક્કર સુધારાઓ નહીં.મોંઘવારી કાબુમાં લેવા માટે કોઈ આયોજન નહીં.શેરબજાર માટે કપરો સમય.
પ્રણવ મુખરજીનાં બજેટ-૦૯ એ દેશનાં નાનાં રોકાણકારોની આશાઓ પર રીતસરનું ઠંડુ પાણી રેડ્યું છે.આજે જ્યારે સમગ્ર દેશ કોંગ્રેસ સરકારની આર્થીક નીતિઓ તેમજ વૈશ્વીક મંદીની અસરોને લીધે તમામ ક્ષેત્રે મંદીનો સામનો કરી રહ્યો હોય તેમજ દેશમાં મોંઘવારીએ માઝા મુકી હોય તેવાં સંજોગોમાં દેશની જનતાને આ બજેટ પર ખુબ મોટી આશાઓ હતી પરંતુ દુઃખ ની વાત એ છે કે નાણાંમંત્રીએ આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે કોઈ નક્કર પગલાંઓ લેવાને બદલે એક દિવા સ્વપ્ન સમાન બીલકુલ સામાન્ય સુધારાઓ સાથેનું એક દિશાહીન બજેટ રજુ કર્યું હતું.ભારતનાં શેરબજારમાં લાંબી મંદી બાદ ફરીથી એક હલચલ શરુ થઈ હતી તેવાં સંજોગોમાં આ બજેટ આગામી શેરબજારની દિશા અને દશા નક્કી કરશે તેવી આશા દેશનાં રોકાણકારો સેવતાં હતા.સીક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કે જે નાનાં રોકાણકારો માટે ભારે બોજા સમાન છે પરંતુ આ ટેક્સ નાબુદ કરવાની કોઈ જાહેરાત આ બજેટમાં કરવામાં આવી નથી તેને બદલે કોમોડીટીનાં સટ્ટાઓ કે જેને લીધે જીવન જરુર ખાધ પદાર્થોનાં ભાવો આસમાને ચડ્યાં છે તેને વધુ પ્રોત્સાહન આપતાં કોમોડીટી ટ્રાન્ઝેકશન ટેક્સ નાબુદ કરવામાં આવ્યો છે જેનો મોટો ફાયદો દેશનાં નાનાં રોકાણકારો ને નહીં પરંતુ કોમોડીટીમાં મોટા સટ્ટાઓ ખેલતી કંપનીઓ ને જ થશે.આવકવેરા નાં દરોમાં પણ મોટા ફેરફારોની આશાઓ હતી પરંતુ તેને બદલે સામાન્ય વર્ગ તેમજ સ્ત્રીઓ ની આવકમર્યાદા માં ફક્ત રુ ૧૦,૦૦૦ અને વરિષ્ઠ નાગરીકો માટે ફક્ત રુ.૧૫,૦૦૦ નો વધારો કરી આમ આદમીનાં દિલ બહેલાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવામાં આવ્યો છે.અ સિવાય પેટ્રોલથી ચાલતાં ટ્ર્કો પરની એક્સાઈઝ ડ્યુટી માં ૧૦% ની રાહત આપવામાં આવી છે.પરંતુ મને લાગે છે કે પ્રણવ મુખરજી સાહેબ એ ભુલી ગયાં લાગે છે કે ભારતમાં મોટા ભાગની ટ્ર્કો પેટ્રોલ થી નહીં પરંતુ ડિઝલથી ચાલે છે તેથી આ જોગવાઈ પણ અર્થહીન છે.આ બજેટમાં પરોક્ષ વેરામાં કરાયેલાળ ફેરફારો નાં પરીણામે સરકારને રુ.૨૦૦૦ કરોડની વધારાની આવક થશે જે સામાન્ય પ્રજા માટે આર્થીક બોજા સમાન બની રહેશે.નાણાંમંત્રીએ ખાધ પદાર્થો,દવા,પેપર,કલાકૃતી,પ્રેશર કુકર,વોટર ફિલ્ટર,પ્યુરીફાયર અને વોટર પંપને બાદ કરતાં બાકીની તમામ વસ્તુઓ પરની એક્સાઈઝ ડ્યુટી ૪% થી વધારીને ૮% કરી છે જેને પરીણામે દેશમાં મોંઘવારીનું પ્રમાણ હજુ વધશે તેમાં કોઈ બે મત નથી.
દેશનાં ઉત્પાદન ક્ષેત્રની હાલત અત્યારે ખુબ જ ગંભીર છે.તેમજ દેશની કુલ નિકાસમાં ૪૦% જેટલો ઘટાડો નોંધાયો છે તેવાં સંજોગોમાં નાણાંમંત્રીએ જહાજ તેમજ રેલ્વે દ્વારાં થતી માલની હેરાફેરી પર સર્વીસ ટેક્સ લગાડ્યો છે જે ખરેખર દાઝ્યા પર ડામ દેવા સમાન છે.ભારતનાં કોર્પોરેટ જગત માટે પણ FBT હટાવવા સિવાય બીજી કોઈ મહત્વની જાહેરાતો કરવામાં આવી નથી તેમજ વકીલો અને ચાર્ટડ એકાઉન્ટન્ટો ની સેવાઓને પણ સર્વીસ ટેક્સમાં આવરી લેવામાં આવી છે જેને પરીણામે ઉધોગ ગૃહો અને વેપારીઓનાં ખર્ચમાં પણ વધારો થશે.કરવેરામાં તેમજ એક્સાઈઝ ડ્યુટીમાં વધારો થવાને પગલે ભારતનું ઉત્પાદન ક્ષેત્ર ચીનની હરીફાઈ કરવામાં નિષ્ફળ જશે પરીણામે દેશમાં મંદીનું પ્રમાણ વધશે તેમજ બેરોજગારી માં પણ વધારો થશે.
આમ,બજેટ ૨૦૦૯-૧૦ એ દેશનાં દરેક ક્ષેત્રો માટે નિરાશાજનક રહ્યું તેને પરીણામે આગામી સમય દેશનાં શેરબજાર માટે વધુ કપરો રહેશે.

શનિવાર, 4 જુલાઈ, 2009

રોકાણકારો સાવધાનઃપેન્ની સ્ટોક ફરીથી વધી રહ્યા છે

અગાઉ સસ્પેન્ડ થયેલી કંપનીઓ ફરીથી રીલીસ્ટીંગ કરાવી લીસ્ટીંગનાં પહેલાં દીવસે જ ખોટી રીતે ભાવ ઉછાળી મોટો નફો રળવાનું કારસ્તાન કરી રહ્યાં છે.
ઘણાં લાંબા સમય બાદ ભારતનાં શેર બજારમાં ફરીથી હલચલ જોવા મળે છે.રોકાણકારો ફરીથી શેરબજાર તરફ પાછાં વળ્યાં છે.એક રીતે કહીએ તો ફરીથી તેજીની શરુઆત થઈ હોય તેવું લાગે છે.આવાં તેજીનાં ગાળાનો ગેરલાભ લેવા માટે અમુક ચોક્કસ જુથો દર વખતની જેમ આ વખતે પણ સક્રીય બન્યાં છે.આ વખતે રોકાણકારોને છેતરવા માટે તેઓએ રીલીસ્ટીંગ અને પેન્ની સ્ટોકનો સહારો લીધો છે.ભુતકાળમાં સ્ટોક એક્સચેંજનાં ધારા ધોરણોનું પાલન નહી કરતાં શેરબજારમાં થી ડીલીસ્ટેડ થયેલી કંપનીઓ ફરીથી સ્ટોક એક્સચેંજમાં રીલીસ્ટીંગ કરાવવા માટે લાઇનમાં ઉભી છે.છેલ્લાં છ મહીનામાં ૧૬ જેટલી આવી કંપનીઓ બોમ્બે સ્ટૉક એક્સચેંજમાં રીલીસ્ટેડ થઈ છે.લીસ્ટીંગનાં પહેલાં દીવસે જ શેર નાં ભાવોમાં કોઈપણ પ્રકારનું સરકીટ ફીલ્ટર હોતું નથી તેથી આ તકનો લાભ લઈ ઓપરેટરો પહેલાં જ દીવસે આવાં શેરનાં ભાવોમાં ક્રુત્રીમ રીતે ૨૦૦૦ થી ૩૦૦૦ ગણો ઉછાળો લઈ આવી મોટો સટ્ટો ખેલી નાંખતા હોય છે.પરીણામે રોકાણકાર વર્ગને રડવાનો વખત આવે છે.
છ વર્ષ પછી ૨૫ મી મે નાં રોજ ફરીથી રીલીસ્ટેડ થયેલી રાજસ્થાનની કંપની પેસીફીક ઈન્ડસ્ટ્રીઝ નાં ભાવમાં રીલીસ્ટીંગનાં દિવસે ૨૭૫૭ ટકાનૉ ભાવ વધારો થાય છે અને એ પણ ફક્ત ૧૩૨ શેરનાં વોલ્યુમમાં જ! એવી જ રીતે અમદાવાદની ૮ વર્ષ પછી રીલીસ્ટેડ થયેલી કેમીકલ કંપની શ્રી ક્લોકેમ નાં શેરનાં ભાવમાં પણ રીલીસ્ટીંગનાં પ્રથમ દિવસે જ ૨૪૦૦ ટકાનો ઉછાળો ફક્ત ૧૦૦ શેરનાં વોલ્યુમમાં જ જોવા મળ્યો હતો.આવી જ રીતે બીજી કંપનીઓ નાં ભાવોમાં પણ અસાધારણ ભાવ વધારો જોવામાં આવ્યો છે અને આ અસાધારણ ભાવ વધારા પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય કે આ શેરોમાં કંઈક ગેરરીતી થઈ રહી છે.આવી બીજી કંપનીઓ જોઈએતો મધુર ઈન્ડ્સ્ટ્રીઝ,બીન્ની,ક્વોન્ટમ ડિજીટલ,પીથમપુર સ્ટીલ,કેજીએન,સીલ્ફ ટેક્નોલોજીસ,સુજાના ટાવર્સ,એસ્.કુમાર નેશનવાઈડ,લોક હાઉસીંગ,કન્ટ્રી કલબ,સ્ટર્લીંગ ગ્રીનવુડ્ઝ વગેરે.ઉપરની આ બધી કંપનીઓ નાં ભાવોમાં ૧૦૦૦ ટકા થી લઈને ૩૦૦૦ ટકાનો અસાધારણ ભાવ વધારો જોવામાં આવ્યો છે.રોકાણકાર વર્ગ માટે આવાં સટ્ટાકીય શેરો થી દુર જ રહેવું વધારે હીતાવહ છે.એક નાં બે કરવાની લાલચમાં લાખનાં બાર હજાર થાય તેવી સ્થિતિ બની શકે છે.તેથી જ પરસેવાની કમાણીનું રોકાણ કરતાં પહેલાં સમજી વીચારીને જ નિર્ણય કરવો આપણાં બધાં માટે હીતાવહ છે.

બુધવાર, 17 જૂન, 2009

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સાવધાનીપુર્વક કરવામાં જ સમજદારી છે.

આજકાલ પ્લાસ્ટીક મનીનું ચલણ ખુબ જ વધતું જતું જોવા મળે છે.દરેક લોકોનાં ખીસ્સામાં ઓછા માં ઓછા બે ત્રણ જુદી જુદી કંપનીઓનાં ક્રેડિટ કાર્ડ તેમજ ડેબીટ કાર્ડ જોવાં મળે છે અને યુવાનોમાં તો ક્રેડિટ કાર્ડ રાખવાની રીતસરની એક ફેશન થઈ ગઈ છે.ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જો પુરેપુરી સમજદારી અને સાવધાનીપુર્વક કરવામાં આવે તો તે ખુબ જ ઉપયોગી સાબીત થઈ શકે પરંતુ જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં ના આવે તો તે ખુબજ જોખમી સાબીત થઈ શકે છે.ક્રેડિટ કાર્ડનાં સમજદારીપુર્વકનાં ઉપયોગ માટે નીચેનાં અમુક મુદ્દાઓ વાચકોને ખુબ જ ઉપયોગી થશે.

#મીનીમમ એમાઉન્ટ ડ્યુ ચુકવવાને બદલે ફુલ આઉટસ્ટેન્ડીંગ બેલેન્સની જ ચુકવણી કરો
ક્રેડિટ કાર્ડ દ્વારાં પેમેન્ટ કર્યા બાદ તમારી બીલીંગ સાઈકલ મુજબ અમુક દિવસો પછી તમને તમારાં મોબાઈલ પર મેસેજ આવશે.દા.ત. તમે જો રુ.૪૦૦૦ ની ખરીદી કરી હોય તો એવો મેસેજ આવશે કે તમારું આઉટસ્ટેન્ડીંગ બેલેન્સ રુ.૪૦૦૦ છે પરંતુ જો તમારે પુરે પુરાં રુપીયા ભરવા ન હોય તો ફક્ત ૫૦૦રુ મીનીમમ ડ્યુ એમાઉન્ટ તરીકે ભરી દઈને તમારી આઉટસ્ટેન્ડીંગ બેલેન્સ કેરી ફોરવર્ડ કરી શકો છો.તો આવાં સમયે મીનીમમ ડ્યુ એમાઉન્ટ ભરવાને બદલે ફુલ આઉટસ્ટેન્ડીંગ બેલેન્સ ચુકવી દેવી વધારે હીતાવહ છે.કારણકે બાકી રહેતાં રુપીયા પર ક્રેડિટ કાર્ડ કંપની વાર્ષીક ૨૪ ટકા થી ૪૨ ટકા સુધીનું વ્યાજ વસુલ કરે છે.એટલે આમ જોઈએ તો ક્રેડિટ કાર્ડ કંપનીની આજ સાચી કમાણી છે.તેમજ જો મીનીમમ ડ્યુ એમાઉન્ટ રકમ જ ભરવામાં આવી હોય તો ત્યાર પછી ની દરેક ખરીદીની રકમ પર પણ તે જ દિવસથી વ્યાજ લાગવાનું ચાલુ થઈ જાય છે.આવું ભારેખમ વ્યાજ ભરવા કરતાં તો ક્રેડિટ કાર્ડની આઉટસ્ટેન્ડીંગ બેલેન્સની પુરે પુરી ચુકવણી પર્સનલ લોન લઈને કરી દેવી વધારે હીતાવહ છે કારણ કે પર્સનલ લોન ફક્ત ૧૨ થી ૧૮ ટકા નાં વાર્ષીક વ્યાજનાં દરે મળે છે.
#બેલેન્સ ટ્રાન્સફર ના કરાવવું
બેલેન્સ ટ્રાન્સફર એટલે એક ક્રેડિટ કાર્ડની બાકીની રકમની ચુકવણી બીજાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવી.આમ કરવાથી દેણું ચુકતે નથી થતું પરંતુ દેશી ભાષામાં કહીએ તો લેણદાર બદલાય છે.બાકી રકમ પરનું વ્યાજતો એટલું જ ચુકવવું પડે છે.આથી બેલેન્સ ટ્રાન્સફર કરવાને બદલે ક્રેડિટ કાર્ડની બાકી રકમની તાત્કાલીક ચુકવણી કરી દેવી સારી.
#કેશ ઉપાડ ના કરવો
ક્રેડિટ કાર્ડ દ્વારાં ATM માંથી અમુક રોકડ રકમ ઉપાડવાની સવલત મળે છે.બને ત્યાં સુધી આવો કેશ ઉપાડ ના કરવો કારણ કે કેશ ઉપાડ પર તે જ દિવસથી માસીક ૪ થી ૬ ટકા જેટલું ઉંચુ વ્યાજ ચાલુ થઈ જાય છે.
#બાકી નાણાંની ચુકવણી સમયસર કરી દેવી.
ક્રેડિટ કાર્ડ વપરાશકારોએ આ નીયમને સોનેરી અક્ષ્રરે કોતરી લેવાની જરુર છે.ક્રેડિટ કાર્ડની બીલીંગ સાઈકલ મુજબ બાકી નાણાં છેલ્લી તારીખનાં બે દિવસ પહેલાં જ ચુકવી દેવાંથી કોઈપણ પ્રકારની ફી કે વ્યાજ ભરવામાંથી મુક્તિ મળે છે અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તો જ ખરા અર્થમાં સાર્થક થયો ગણાશે.
#'લાઈફ ટાઈમ ફ્રી' કાર્ડ જ લેવું
ક્રેડિટ કાર્ડ કંપનીઓ વાર્ષીક ફી લેતી હોય છે.અમુક કંપનીઓ પહેલાં વર્ષની ફી માફી આપે છે પરંતુ બીજાં વર્ષથી તગડી ફી વસુલ કરે છે.તેનાં બદલે 'લાઈફ ટાઈમ ફ્રી' કાર્ડ જ લેવૂ વધારે હીતાવહ છે.કેમ કે ઘણી વખત પછીનાં વર્ષોમાં ખુબજ ઉંચી ફી વસુલ કરવામાં આવતી હોય છે.તેનાં બદલે જો આજીવન ચાર્જ ફ્રી કાર્ડ હોય તો પછીથી આ પ્રકારનો કોઈ ચાર્જ કંપની વસુલ ના કરી શકે.
#'પછેડી હોય તેટલી જ સોડ તાણવી'
આપણી જુની કહેવત છે કે 'પછેડી હોય તેટલી જ સોડ તાણવી' એટલે કે આપણી જેટલી ત્રેવડ હોય તેટલો જ ખર્ચ કરવો જોઈએ.આ કહેવત ક્રેડિટ કાર્ડ બાબતે બીલકુલ બંધ બેસતી છે.વાસ્તવિકતામાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખુબ જ ગણતરી પુર્વક કરવો જોઈએ.એટલે કે આપણી જેટલી આવક હોય તે મુજબ જ પહેલેથી દર મહીનાનું બજેટ તૈયાર કરીને તે જ પ્રમાણમાં ખર્ચાઓ કરવા જોઈએ.ક્રેડિટ કાર્ડમાં પૈસા પહેલાં આપવા પડતાં નથી તેથી લોકો આવકનાં પ્રમાણમાં વધારે ખર્ચા કરી બેસે છે અને પછી બીન જરુરી વ્યાજ ભરી ક્રેડિટ કાર્ડ કંપનીઓને નફો કરાવતાં હોય છે.આથી જો શાંતીપુર્વક,કોઈ ટેન્શન વગર જીવન જીવવું હોય તો બને ત્યાં સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ટાળવો.

ગુરુવાર, 21 મે, 2009

શેર ખરીદતા પહેલાં કંપની વિશે પુરતી જાણકારી મેળવી લેવી

શેર ખરીદો અને તમારી મનગમતી કંપનીનાં માલીક બનો

તમે કોઈ કંપનીનાં માલીક બનવાનું સપનું જોયું છે?વાસ્તવિક્તામાં કંપનીની સ્થાપના કરવી અને પછી તેને સારી રીતે ચલાવવી એ ખુબ જ જટીલ કાર્ય છે.પરંતુ તમારે જો આવી કોઈ કંપનીનું માલીક બનવું હોય તો સૌથી સરળ રસ્તો એ છે કે તમને મનગમતી અને સફળ કંપનીનાં શેરની ખરીદી કરવાથી તમે તે કંપનીનાં માલીક બની શકો છો.
જ્યારે કોઈ કંપનીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે તે કંપનીને જુદી-જુદી સ્થાવર મીલ્કતો ખરીદવા માટે રુપીયાની જરુર પડે છે.જેમકે પ્લાન્ટ,મશીનરી,ઓફીસ,વગેરે વગેરે.કંપની નાં સ્થાપકો પોતાનાં હિસ્સા પ્રમાણેની રકમનું તેમાં રોકાણ કરે છે અને તેણે રોકેલાં રુપીયાનાં પ્રમાણમાં તેઓ બજારમાં શેર બહાર પાડી શકે છે.એટલે કે IPO બહાર પાડે છે.જેનાં દ્વારાં લોકો તેમાં રોકાણ કરે છે અને તે રોકાણનાં પ્રમાણમાં તેને કંપનીનાં અમુક શેર મળે છે.આ શેરનું પછીથી શેરબજારમાં ટ્રેડીંગ થઈ શકે છે.જ્યારે તમે કોઈ કંપનીનાં શેર ખરીદો છો ત્યારે તમે તે કંપનીમાં કરેલાં તમારાં રોકાણનાં પ્રમાણ મુજબની માલીકી મેળવો છો.એટલે કે કોઈ કંપની એ ૧૦૦ શેર ઈશ્યુ કર્યાં હોય અને તમારી પાસે તેનો ૧ શેર હોય તો તમે તે કંપનીમાં ૧% ની માલીકી ધરાવો છો તેવું કહી શકાય.અહીં મજાની વાતતો એ છે કે તમારી પાસે કોઈપણ કંપનીનો ૧ શેર પણ હોય તો પણ તમે તે કંપનીનાં માલીક છો તેમ કહી શકાય,આમ જોઈએ તો અઝીમ પ્રેમજી એ વીપ્રો કંપનીનાં માલીક છે કારણ કે તેની પાસે વીપ્રોનાં મોટાભાગનાં શેર છે પરંતુ જો તમારી પાસે વીપ્રો નો ૧ શેર પણ હોય તો તમે પણ વીપ્રોનાં માલીક છો એવું કહી શકાય અને સાથે સાથે તમને કંપનીની વાર્ષીક સામાન્ય સભામાં તમારો મત આપવાનો અધીકાર પણ મળે છે.
કોઈપણ કંપનીનાં શેર ખરીદવાથી તેનાં માલીક તો બની જવાય છે પરંતુ આપણે સાચાં અર્થમાં કંપનીનાં માલીક હોઈએ તે રીતે વિચારીને આપણાં રોકાણ અંગેનાં નિર્ણયો લઈએ તે ખુબ જ જરુરી છે.લાંબાગાળાનાં રોકાણકારો માટે આ હકીકત ખુબ જ નફાકારક સાબીત થઈ છે.ઉદાહરણ તરીકે જોઈએ તો તમારી પાસે રીલાયન્સ નાં શેર છે અને હવે શેર બજારમાં ઘટાડો આવે છે અને રીલાયન્સનાં ભાવો ઘટે છે તો આવાં સમયે મુકેશ અંબાણી શું કરશે?શું તે તેનાં શેર વેંચી અને વધારે નીચો ભાવ થાય ત્યારે ફરીથી ખરીદવાનું વિચારશે?ના,તે તેનાં શેર વેંચશે નહીં પરંતુ નીચા ભાવે મળતાં શેરની હજુ વધારે ખરીદી કરશે કારણકે માલીક તરીકે તે જાણે છે કે કંપની ખુબ સારું કામ કરી રહી છે.કંપનીનું ભવીષ્ય ખુબ જ સારું છે તેથી લાંબાગાળે શેરનાં ભાવો વધવાનાં જ છે તો અત્યારે સસ્તાં ભાવે મળતાં શેર શા માટે નાં ખરીદવાં?પરંતુ આ જ પરિસ્થિતીમાં તમે શું વિચારશો?લગભગ આપણે બધાં જ આવાં સમયે ગભરાઈ જઈને,શેરનો ભાવ ઘટતો હોવાથી હાલમાં શેર વેંચી અને હજુ વધારે સસ્તાં થાય ત્યારે ખરીદવાનું વિચારીએ છીએ પરંતુ આ વિચાર લાંબાગાળાનાં રોકાણકારો માટે યોગ્ય નથી.આવાં સમયે આપણે કંપનીનાં માલીકની જેમ વિચારવું જરુરી છે અને કંપનીની મુળભુત તકાતને ઓળખી ને શેર રાખી મુકવા જોઈએ અને સસ્તાં ભાવે હજુ વધારે શેર ખરીદવા જોઈએ.જ્યારે તમે કંપનીનાં માલીકની જેમ વિચારો છો ત્યારે જ તમે કંપનીનાં લાંબાગાળાનાં વિકાસનો ફાયદો ઉઠાવી શકો છો અને મોટો નફો કમાઈ શકો છો.પરંતુ જો તમે શેર બજારનાં વધારાં - ઘટાડાંને આધારે શેરની લે-વેંચ કરતાં હશો તો તમે ક્યારેય મોટો નફો નહીં મળવી શકો.
એક રસપ્રદ ઉદાહરણ જોઈએ તો આજથી વર્ષો પહેલાં જ્યારે ટાટા સ્ટીલે તેનો શેર ઈશ્યુ બહાર પાડ્યો હતો ત્યારે પારસી રોકાણકારો એ લાંબાગાળાનાં આયોજન રુપે તેમાં ઘણું મોટું મુડી રોકાણ કર્યું હતું.તે વખતે ટાટા સ્ટીલ એક નાની કંપની હતી પરંતુ આજે ટાટા સ્ટીલ ભારતની સૌથી સારી કંપનીઓમાંની એક છે અને તે પારસી રોકાણકારોનાં વારસદારો આજે કરોડપતિ બની ગયાં છે.
આમ, કોઈપણ કંપનીનાં શેર ખરીદતાં પહેલાં તે કંપનીનાં ધંધા વિશે,તે ધંધાનાં ભવિષ્ય વિશે વિચારવું જોઈએ તેમજ તે કંપનીનાં પ્રમોટરો કોણ છે તે વિશે પુરે પુરી જાણકારી મેળવીને અંતે તમે તે કંપનીનાં માલીક બનવાનું વિચારીને લાંબાગાળા માટેનું રોકાણ કરશો તો તમારું નાનું રોકાણ પણ કરોડોનું બની શકે છે.હેપ્પી ઈન્વેસ્ટીંગ.

શનિવાર, 11 એપ્રિલ, 2009

ડિબેન્ચર વિશે સરળ સમજણ / ડિબેન્ચર નાં વિવિધ પ્રકારો

ડિબેન્ચર એટલે શું?
ડિબેન્ચર એ ફીકસ્ડ ડિપોઝીટ જેવું જ દેવાનું એક સાધન છે.તે સામાન્ય રીતે કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે.ડિબેન્ચરમાં રોકાણ કરવાથી કંપની નક્કી કરેલાં સમયગાળા દરમિયાન નિયત વ્યાજ આપે છે અને ડિબેન્ચર ની અવધી પુરી થાય એટલે મુદલ રકમ પરત મળે છે.
ડિબેન્ચર VS. FD
ડિબેન્ચર અને FD વચ્ચેનો મુખ્ય તફાવત તરલતા (લીક્વીડીટી) છે.શેર ની જેમ જ ડિબેન્ચરનું માર્કેટ માં ટ્રેડીંગ થઈ શકે છે તેથી જ્યારે જરુરીયાત હોય ત્યારે ડિબેન્ચર નું માર્કેટમાં વેચાણ કરી રોકડામાં રુપાંતર કરી શકાય છે એટલે કહી શકાય કે ડિબેન્ચર ખુબ જ તરલતા ધરાવતું રોકાણ સાધન છે.તેનાંથી વિરુધ્ધ FD એ અમુક નિયત સમયગાળાનું રોકાણ છે એટલે કે નિયત અવધી પુરી થાય પછી જ FD વટાવી શકાય છે આમ,FD ની તરલતા ખુબજ ઓછી છે.
સલામત (Secure) ડિબેન્ચર અને અસલામત (Non-Secure) ડિબેન્ચરઃ
#સલામત ડિબેન્ચરઃ

આ પ્રકારનાં ડિબેન્ચર માં જે મુડી રોકાણ કરેલું હોય તેની સામે કંપની પોતાની મિલ્કતનો તેટલો હિસ્સો જામીનગીરી રુપે આપે છે.એટલે કે જો તે કંપની બંધ થઈ જાય અથવા તો ફડચા માં જાય તો તેની મિલ્કતનાં વેચાણમાંથી મળતી રકમ નો સૌ પ્રથમ હીસ્સો સલામત ડિબેન્ચર ધારકો ને આપવામાં આવે છે.ત્યાર બાદનો બાકી વધતો હીસ્સો સલામત લેણદારો ને ત્યાર પછી અસલામત લેણદારો ને અને શેરધારકો ને ચુકવવામાં આવે છે.કંપની FD કરતાં સલામત ડિબેન્ચર વધારે સલામત છે કારણ કે કંપની FD સામે કંપની ની મીલ્કત ની જામીનગીરી આપવામાં આવતી નથી આથી જો કંપની ફડચામાં જાય તો સૌથી પહેલું ચુકવણું સલામત ડિબેન્ચર ધારકોને કરવામાં આવે છે ત્યાર બાદ કંપની FD ધારકો ને ચુકવાય છે.અહીં એક વાત ખાસ નોંધનીય છે કે બેંક FD પણ સંપુર્ણ સલામત રોકાણ નથી.
#અસલામત ડિબેન્ચરઃ
અસલામત ડિબેન્ચરમાં કંપની દ્વારાં તેની મીલ્કતની જામીનગીરી રુપે રક્ષણ અપાતું નથી તેથી કંપની જો ફડચામાં જાય અથવાતો બંધ થાય તો તેની મીલ્કતનાં વેચાણ માંથી પ્રાપ્ત થતી રકમનૉ પહેલો હીસ્સો સલામત ડિબેન્ચર ધારકો ને ચુકવાય છે ત્યાર બાદ સલામત લેણદારો ને અને પછી વધતો હીસ્સો અસલામત ડિબેન્ચર ધારકો તેમજ શેરધારકો ને ચુકવાય છે.
ડિબેન્ચરનાં પ્રકારો
#પરિવર્તનશીલ(Convertible) ડિબેન્ચર:
આ પ્રકારનાં ડિબેન્ચરમાં ડિબેન્ચરને શેરમાં રુપાંતર કરવા માટેનો વિકલ્પ આપવામાં આવે છે.કંપની દ્વારાં અગાઉ થી નિયત થયેલી તારીખ પર તેમજ અગાઉ થી નક્કી થયેલ ભાવે ડિબેન્ચરનું શેરમાં રુપાંતર કરી શકાય છે.આ પ્રકારનાં ડિબેન્ચરનો મુખ્ય ફાયદો એ છે કે જો કંપની સારી પ્રગતી કરે અને જો તેનાં શેરનાં ભાવો માં વધારો આવે તો પણ ડિબેન્ચર ધારકો અગાઉ થી નક્કી થયેલાં ભાવે ડિબેન્ચરનું શેરમાં રુપાંતર કરી ધુમ નફો કમાઈ શકે છે.
#અપરિવર્તનશીલ (NonConvertible)ડિબેન્ચરઃ
આ પ્રકારનાં ડિબેન્ચર પરંપરાગત FD જેવું વલણ ધરાવે છે એટલે કે આ પ્રકારનાં ડિબેન્ચરનું શેરમાં રુપાંતર થઈ શકતું નથી પરંતુ પાકતી મુદતે મુદલ રકમ પરત મળે છે.
#અંશતઃપરિવર્તનશીલ(Partly Convertible)ડિબેન્ચરઃ
આ પ્રકાર એ પરિવર્તનશીલ અને અપરિવર્તનશીલ ડિબેન્ચરનું મીશ્ર સ્વરુપ છે.રોકાણ નાં અમુક ભાગનું શેર માં પરિવર્તન થઈ શકે છે અને બાકી નો ભાગ પાકતી મુદતે પરત મળે છે.
ક્રેડીટ રેટીંગઃ
દેવાં સાધનોની ગુણવતા ચકાસણીનું કામ ક્રેડીટ રેટીંગ એજન્સીઓ કરે છે.ભારતમાં ક્રીશીલ,ઈકરા,કેર જેવી ક્રેડીટ રેટીંગ એજન્સીઓ કાર્યરત છે.વ્યાજ તેમજ મુદલની પરત ચુકવણી નો આધાર કંપની નાં પ્રદર્શન પર છે તેમજ જોખમ નો આધાર કંપની ની કામગીરી પર રહે છે.ક્રેડીટ રેટીંગ એજન્સીઓ કંપની નો પુરે પુરો અભ્યાસ કર્યા પછી તેને રેટીંગ ની ફાળવણી કરે છે જેનાં આધારે કંપની ની ગુણવતા માપી શકાય છે.આમ, ડિબેન્ચરમાં રોકાણ કરતાં પહેલાં કંપનીનાં રેટીંગ નો સંપુર્ણ અભ્યાસ કરવો હિતાવહ છે.
'પુટ' અને 'કોલ' નો વિકલ્પઃ
ડિબેન્ચર માં 'પુટ' અને 'કોલ' નો વિકલ્પ આપવામાં આવે છે.'પુટ' નો વિકલ્પ લેવાંથી તમે જ્યારે ઈચ્છો ત્યારે ડિબેન્ચર સરેન્ડર કરી તમારી રકમ પરત મળવી શકો છો.જ્યારે 'કોલ' નો વિકલ્પ લેવાંથી કંપની જ્યારે ઈચ્છે ત્યારે તમારાં ડિબેન્ચર સરેન્ડર કરાવી તમારી રકમ પરત કરી શકે છે.'પુટ'નો વિકલ્પ રોકાણકારો માટે ફાયદારુપ છે.જ્યારે બજારમાં વ્યાજનાં દરો ઉંચા હોય ત્યારે તમે ડિબેન્ચર શરણે કરી તમારી મુડી નું ઉંચું વ્યાજ આપતાં સાધાનોમાં રોકાણ કરી શકો છો.જ્યારે 'કોલ' નાં વિકલ્પમાં કંપની ને ફાયદો રહે છે.બજારમાં ઓછાં વ્યાજે ધિરાણ મળતું હોય ત્યારે ડિબેન્ચર સરેન્ડર કરાવી કંપની ઓછાં વ્યાજનું ધિરાણ મેળવી શકે છે.
ડિબેન્ચરનું શેરબજારમાં લીસ્ટીંગઃ
શેરની જેમજ ડિબેન્ચરનું પણ શેરબજારમાં લીસ્ટીંગ થાય છે.આ પ્રકારનાં ડિબેન્ચરમાં તમે ડિબેન્ચર પાકવાની રાહ જોયા વગર સમય મર્યાદા કરતાં પહેલાં પણ બજારમાં વેંચી રકમ પરત મેળવી શકો છો.
વ્યાજનાં દરોઃ
ડિબેન્ચરમાં રોકાણ સામે મળતાં વ્યાજનાં દર ને કુપન રેટ કહે છે.સામાન્ય રીતે આ વ્યાજનાં દરો બજારમાં પ્રવર્તમાન દરો જેટલાં જ હોય છે.તેમ છતાં રોકાણકારો નેઆકર્ષવા માટે અમુક કંપનીઓ ઉંચા વ્યાજનાં દર ઓફર કરતી હોય છે.ખાસ કરી ને પરિવર્તનશીલ ડિબેન્ચરમાં ડિબેન્ચરને શેરમાં રુપાંતર કરવાનો વિકલ્પ હોવાથી તેનાં વ્યાજનાં દર પ્રમાણમાં ઓછાં હોય છે.
મુદતઃ
સામાન્ય રીતે ડિબેન્ચરની અવધી ૩ થી ૭ વર્ષની હોય છે.
ઈન્કમટેક્ષઃ
ડિબેન્ચર એ દેવાંનું સાધન છે.ડિબેન્ચર પર મળેલાં વ્યાજ ને બેંક FD ની જેમ જ તમારી વધારાંની આવક તરીકે ગણવામાં આવે છે અને તેનાં પર ઈન્કમટેક્ષ લાગુ પડે છે.ડિબેન્ચર એ કેપીટલ એસેટ છે એટલે તમે જો ડિબેન્ચરનું એક વર્ષ પહેલાં વેચાણ કરો તો તેનાં પર શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે તેજ રીતે એક વર્ષ પછીનાં સમયગાળાં માં વેચાણ કરો તો તેનાં પર ૧૦% લેખે લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.

મંગળવાર, 24 માર્ચ, 2009

વધતી મોંઘવારી અને ઘટતો ફુગાવો!!!

વધતી મોંઘવારી અને ઘટતો ફુગાવો!!!
હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ દ્વારાં મપાતો ફુગાવો બિલકુલ અવાસ્તવિક
ભારતનાં અર્થતંત્રમાં અત્યારે વિચિત્ર ઘટનાં ચાલી રહી છે.હાલની કેન્દ્ર સરકાર યેન કેન પ્રકારે ફુગાવાનાં દરને નીચો બતાવવાની કોશીષ માં લાગેલી છે.ફુગાવો એટલે મોંઘવારીનો દર.ફુગાવાનાં દરને નીચો બતાવી કેન્દ્ર સરકાર ભારતમાં મોંઘવારી ઘટી રહી છે તેવું બતાવવા મથી રહી છે.પરંતુ એથી ઉલ્ટું કન્ઝયુમર પ્રાઈઝ ઈન્ડેક્ષ અને ફુડ પ્રાઈઝ ઈન્ડેક્ષ માં અવિરત વધારો થઈ રહ્યો છે.એ બતાવે છે કે ભારતમાં આમ આદમીને લાગુ પડતી મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે.
ફુડ પ્રાઈઝ ઈન્ડેક્ષ કે જે ઓગષ્ટ ૨૦૦૮ માં ૬.૩% પર હતો તે ફેબ્રુઆરી ૨૦૦૯ માં ૧૩.૨૫% પર પહોંચી ગયો છે.કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્ષ કે જે સાચા અર્થ માં મોંઘવારી નો નિર્દેશ કરે છે તે મે ૨૦૦૪ માં ૪૨૮ પોંઈન્ટ થી વધીને માર્ચ ૨૦૦૮ માં ૫૨૮ પોંઈન્ટ સુધી પહોંચી ગયેલ છે.૨૦૦૪ નાં ભાવોની સરખામણીમાં અનાજનાં ભાવોમાં ૧૨૫% નો વધારો તેમજ વિવિધ પ્રકારની દાળો નાં ભાવો માં ૨૦૦% નો વધારો થયો છે.વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલનાં ભાવોમાં આવેલાં ઘટાડા છતાં પણ ૨૦૦૪ ની સરખામણી એ પેટ્રોલ-ડિઝલ નાં ભાવો ૫૦% કરતાં પણ વધારે છે.કેન્દ્ર સરકાર ફુગાવો ઘટાડ્યાનાં ઓઠાં હેઠળ કારમી મોંઘવારીની વાસ્તવિક્તા છુપાવી રહી છે અને ભારતની ભોળી પ્રજાને ભરમાવી રહી છે.એક્સપોર્ટ ક્ષેત્રે ફેબ્રુઆરી ૨૦૦૯ માં ૧૨% થી વધારે ઘટાડો થયો છે જેને લીધે પાંચ લાખ લોકોએ તેનાં રોજગાર ગુમાવ્યા છે અને હજુ આ ક્ષેત્રે દસ લાખ લોકો વધુ બેકાર થશે.RBI દ્વારાં વારંવાર પ્રાઈમ રેઈટ માં ઘટાડો કરવાં છતાં હજુ લોન પરનાં વ્યાજનાં દરો તે પ્રમાણમાં ઘટ્યાં નથી કે નથી હોમલોનની માંગમાં વધારો થયો.સીધાં કરવેરાની આવકમાં ૧૮% નો ઘટાડો લોકોની ખરીદ શક્તિ ઘટી રહી છે તેનો નિર્દેશ કરે છે.ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંક પણ અત્યાર સુધીનો સૌથી વધુ ઘટાડો બતાવે છે.કોંગ્રેસ સરકારે સુત્ર આપ્યું હતું કે તેઓ ૧૦ મીલીયન લોકોને નવી રોજગારી આપશે તેને બદલે અત્યાર સુધીમાં ભારતમાં ૧૫ મીલીયન લોકો તેમની રોજગારી ગુમાવી ચુક્યા છે.આમ,મોંઘવારી ને બેકારીને લીધે ભારતનાં આમ આદમીની કમર તુટતી જાય છે ત્યારે કેન્દ્ર સરકાર ફુગાવો ઘટ્યાં નાં બણગાં ફુંકે છે પરંતુ જનતા હવે વધુ વખત મુર્ખ નહીં બને તે હકીકત છે.

ગુરુવાર, 12 માર્ચ, 2009

દાન કરો-ટેક્ષ બચાવો ઃ સેકશન ૮૦ જી

દાન કરો-ટેક્ષ બચાવો ઃ સેકશન ૮૦ જી

શું તમે સેવાકીય પ્રવૃતીઓમાં રસ ધરાવો છો?શું તમે સેવાકીય પ્રવૃતીઓ માટે પૈસા દાન કરવા ઈચ્છો છો?જો જવાબ હા છે તો તમે પૈસા દાન કરવાની સાથે સાથે તમારી આવક પર લાગતો ટેક્ષ પણ બચાવી શકો છો.જાહેર જનતા માટે સેવાકીય હેતુથી કાર્ય કરતી સંસ્થાઓમાં કરાતું દાન ઈન્કમ ટેક્ષ નાં કાયદા અન્વયે સેક્શન ૮૦ જી હેઠળ ઈન્કમ ટેક્ષમાંથી બાદ મેળવી શકાય છે.સેવાકીય સંસ્થાઓ તથા સેવાકીય ફંડ ને કરાતું દાન ૫૦% અથવા તો ૧૦૦% સુધી ઈન્કમ ટેક્ષ માંથી બાદ મેળવી શકાય છે.જેનો આધાર તમે કયા પ્રકારની સંસ્થાને દાન આપ્યું છે તેનાં પર છે.ચેક અથવા તો રોકડ સ્વરુપે અપાયેલું દાન બાદ મળવા પાત્ર છે.

દાન ની પહોંચનું મહત્વઃ દાન આપતી વખતે સંસ્થા પાસેથી સ્ટેમ્પ લગાવેલી પહોંચ(પાવતી)મેળવવી જરુરી છે.આ પહોંચ જ તમે દાન કર્યાનો આધાર છે.આ પહોંચમાં જે તે સંસ્થા સેક્શન ૮૦ જી હેઠળ માન્ય છે તેવું લખાણ હોવું જરુરી છે.દાન ની પહોંચમાં નીચેની વિગતો નો સમાવેશ થવો જરુરી છે.
૧,ટ્ર્સ્ટ કે સંસ્થાનું નામ અને અડ્રેસ
૨,દાન આપનારનું નામ
૩,કેટલી રકમ દાનમાં આપેલી છે તે શબ્દોમાં તેમજ આંકડામાં લખેલું હોવું જરુરી છે.
૪,ટ્ર્સ્ટ કે સંસ્થા ને ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારાં સેક્શન ૮૦ જી હેઠળ ફાળવાયેલો રજીસ્ટ્રેશન નંબર તેમાં લખેલો હોવો જોઈએ.
૫,રજીસ્ટ્રેશન ની અવધી પણ તેમાં લખેલી હોવી જોઈએ.

દાન બાદ મળવાની મર્યાદાઃ આ પ્રકારનું દાન તમારી એડજસ્ટેડ ગ્રોસ ટોટલ ઈન્કમનાં ૧૦% સુધીનું બાદ મળે છે એટલે કે તમે જો એડજસ્ટેડ ગ્રોસ ટોટલ ઈન્કમનાં ૧૦% કરતાં વધારે રકમ દાનમાં આપેલી હોય તો પણ ૧૦% સુધીની રકમ જ બાદ મળે છે અને તે તમે કરેલાં દાન ની કુલ રકમ પર ગણાય છે.

એડજસ્ટેડ ગ્રોસ ટોટલ ઈન્કમઃ ગ્રોસ ટોટલ ઈન્કમ માંથી લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ બાદ કરવાનો તેમજ ૮૦ સી અને ૮૦ યુ માં બાદ મળતી રકમ બાદ કરવાની તેમજ જે આવક પર ટેક્ષ લાગતો નથી(દા.ત.ખેતીની આવક)તે પણ બાદ કરવાની તેમજ એન.આર.આઈ ની સેકશન ૧૧૫ મુજબ અમુક આવક બાદ કરવાથી એડજસ્ટેડ ગ્રોસ ટોટલ ઈન્કમ મળશે.

દાનની લાયકાતઃ કોઈપણ વ્યક્તિ કે હીન્દુ અવિભક્ત કુટુંબ(HUF) તેમજ NRI દ્વારાં કરવામાં આવેલું દાન સેક્શન ૮૦ જી મુજબ બાદ મળવા પાત્ર છે.

મંગળવાર, 3 માર્ચ, 2009

રોકાણ એવું કરો જે પાકતી મુદતે પણ ટેક્ષ ફ્રી હોય

રોકાણ એવું કરો જે પાકતી મુદતે પણ ટેક્ષ ફ્રી હોય
માર્ચ મહીનો એટલે ટેક્ષ પ્લાનીંગનો મહીનો.મોટાભાગનાં લોકો તેમની આવક પર ઈન્કમ ટેક્ષ કેવી રીતે ઓછો ભરવાનો આવે તેનું પ્લાનીંગ નાણાંકીય વર્ષને અંતે એટલે કે માર્ચ મહીનામાં જ કરતાં હોય છે.આવાં લોકો ઉતાવળે રોકાણ કરી હાલ પુરતાં તો તેને આવકમાંથી બાદ મેળવી ટેક્ષ બચાવી લેતાં હોય છે.પરંતુ એ વખતે તેઓ એ વિચારવાનું ભુલી જાય છે કે પાકતી મુદતે મળતી રકમ ટેક્ષ ફ્રી છે કે નહીં?રોકાણનાં સાધનો પસંદ કરતી વખતે એ સમજવું ખુબ જ જરુરી છે કે પાકતી મુદતે મળતી રકમ પર ટેક્ષ ભરવાનો થશે કે નહીં?એક આદર્શ રોકાણ એને જ કહી શકાય કે જે રોકાણ વખતે તો ટેક્ષ બચાવે જ તેમજ પાકતી મુદતે મળતી રકમ પણ ટેક્ષ રહીત હોય.હાલ માર્કેટમાં ટેક્ષ બચતનાં જુદાં જુદાં અનેક રોકાણ સાધનો ઉપલબ્ધ છે જેમાં અમુક સાધનો માં પાકતી મુદતે મળતી રકમ ટેક્ષ ને પાત્ર હોય છે જ્યારે અમુક રોકાણ સાધનોમાં પાકતી મુદતે મળતી રકમ ટેક્ષ રહીત હોય છે.
વ્યાજની આવકઃ હાલનાં ઈન્કમ ટેક્ષ એક્ટ મુજબ વ્યાજની આવક ટેક્ષ પાત્ર છે.પબ્લીક પ્રોવીડંડ ફંડ,નેશનલ સેવીંગ સર્ટીફીકેટ,બેંક FD વગેરેમાં કરાતાં રોકાણ સામે જે વ્યાજની આવક મળે છે તે પાકતી મુદતે ટેક્ષ ને પાત્ર છે.તેથી આવાં સાધનોમાં રોકાણ કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખવી ખુબજ જરુરી બને છે.
ELSS ફંડ(ઈક્વીટી લીંક્ડ સેવીંગ સ્કીમ)ઃ વ્યાજની આવક ટેક્ષને પાત્ર છે જ્યારે ડીવીડંડની આવક ટેક્ષ ફ્રી છે.ELSS ફંડમાં ડીવીડંડની આવકનો વિકલ્પ છે જેથી ઈન્કમ ટેક્ષનાં સંદર્ભમાં જોઈએ તો ELSS ફંડમાં મળતું ડીવીડંડ ટેક્ષ ફ્રી છે.આ ડીવીડંડ રોકાણકાર બે રીતે મેળવી શકે છે.એક તો મળતાં ડીવીડંડનો ઉપાડ કરી રોકાણ પર વળતર મેળવી શકે છે અને બીજું આ ડીવીડંડ નું તે જ ફંડમાં રીઈન્વેસ્ટમેન્ટ પણ કરી શકે છે.જેથી લાંબાગાળે તે તેની મુદલ રકમમાં વધારો કરતાં જાય છે.અને પાકતી મુદતે ટેક્ષ પણ બચાવી શકાય છે.
ઈન્શ્યુરન્સ(વિમો)ઃ કોઈપણ ઈન્શ્યુરન્સ પ્લાનમાં થતું રોકાણ ટેક્ષ ફ્રી હોય છે.તેમજ પાકતી મુદતે મળતી રકમ પણ સંપુર્ણ ટેક્ષ રહીત મળે છે.આ ઉપરાંત પોલીસીની મુદત દરમીયાન અધવચ્ચે પણ જો વિમેદારનું મોત થાય તો પણ તેનાં વારસદારોને મળતી રકમ પણ ટેક્ષ ફ્રી હોય છે.આમ,ઈન્શ્યુરન્સ એ ટેક્ષ પ્લાનીંગ માટે ખુબ જ અગત્યનું તેમજ લોકપ્રીય સાધન છે.
પેન્શન પ્લાનઃ પેન્શન પ્લાનમાં કરાતાં રોકાણ ટેક્ષમાંથી બાદ મળે છે.તેમજ પેન્શન ચાલુ કરવાની ઉંમરે(વેસ્ટીંગ એઈજ)જે ફંડ ભેગું થયું હોય તેમાંથી ફક્ત ૩૩% રકમનો જ ઉપાડ થઈ શકે છે જે ટેક્ષ ફ્રી છે પરંતુ ત્યાર બાદ પેન્શન રુપે મળતી આવક પર જે તે ઈન્કમ ટેક્ષનાં સ્લેબ મુજબ ટેક્ષ ભરવાનૉ રહે છે.આમ,પેન્શન પ્લાન એ સંપુર્ણ ટેક્ષ ફ્રી રોકાણ સાધન ના કહી શકાય.

બેંક FD--------------વ્યાજની રકમ ટેક્ષ પાત્ર છે.
ELSS ફંડ:------------ડીવીડંડ અને પાકતી મુદતે મળતી રકમ ટેક્ષ ફ્રી છે.
ઈન્શ્યુરન્સ(વિમો)------પાકતી મુદતે મળતી રકમ ટેક્ષ ફ્રી છે.
પેન્શન પ્લાન----------પેન્શનની આવક ટેક્ષ પાત્ર છે.

શનિવાર, 31 જાન્યુઆરી, 2009

NRI દ્વારાં ભારતમાં રહેણાંક/બીન રહેણાંક મિલ્કતોની ખરીદી તેમજ વેંચાણ

NRI દ્વારાં ભારતમાં રહેણાંક/બીન રહેણાંક મિલ્કતોની ખરીદી તેમજ વેંચાણ
ઘણાંબધાં NRI - બીન નિવાસી ભારતીયો તેમજ PIO- ભારતીય મુળનાં વ્યક્તિઓ રોકાણનાં હેતુથી તેમજ મીલ્કત ભાડે આપી નિશ્ચિત આવક મેળવવાનાં હેતુથી ભારતમાં રહેણાંક તેમજ બીન રહેણાંક મીલ્કતો વસાવવા માટે રસ ધરાવે છે.આ લેખ આ પ્રકારની ખરીદી/વેચાણ માટેનાં નિયમો અને મર્યાદાઓ તેમજ ટેક્ષનાં કાયદાઓ વિશે સમજ આપવાનો નમ્ર પ્રયાસ છે.
છેલ્લાં થોડાંક વર્ષોથી NRI દ્વારાં ભારતમાં મીલ્કતની ખરીદી-વેચાણ તેમજ તેને ભાડાપટ્ટૅ આપવાનાં નિયમો માં ઘણી છુટછાટ આપવામાં આવી છે.
મીલ્કત ની ખરીદીઃ RBI - રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ની કોઈપણ જાતની મંજુરી લીધાં વગર NRI ભારતમાં રહેણાંક તેમજ બીન રહેણાંક મીલ્કતો વસાવી શકે છે.પરંતુ NRI ભારતમાં જમીન-મકાન ક્ષેત્રમાં ધંધાકીય હેતુથી જોડાઈ શકતાં નથી.તેમજ NRI ને ભારતમાં ખેતી માટેની જમીન લેવા માટે ની મંજુરી મળી શકતી નથી.
NRI ભારતમાં ગમે તેટલી મીલ્કતો વસાવી શકે છે,તેમજ મીલ્કતોની કીંમત બાબતે પણ કોઈ મર્યાદા નક્કી થયેલ નથી.
નાણાંની ચુકવણીઃ મીલ્કતોની ખરીદીનાં નાણાંની ચુકવણી NRI તેનાં NRE/FCNR કે NRO એકાઉન્ટ દ્વારાં આસાનીથી કરી શકે છે.તેમજ તેમની મીલ્કત નાણાંકીય સંસ્થાઓ કે બેંક પાસે ગીરો મુકી તેનાં પર લોન પણ લઈ શકે છે.

સ્ટેમ્પડ્યુટી/રજીસ્ટ્રેશન ફીઃ સ્ટેમ્પડ્યુટી કે રજીસ્ટ્રેશન ફી માં NRI ને કોઈપણ પ્રકારની માફીની સવલત નથી.હાલનાં વર્તમાન દર તેણે ફી ભરવાની રહેશે.
PAN: NRI ને ભારતમાં મીલ્ક્તોની ખરીદી કરવા માટે PAN- પરમેનન્ટ એકાઉન્ટ નંબર લેવો ફરજીયાત નથી.
NRI તેની મીલ્કત વારસામાં પણ આપી શકે છે.
સોદો કેન્સલ થવોઃ કોઈપણ સંજોગોમાં મીલ્ક્તની ખરીદીનો સોદો જો કેન્સલ થાય તો તેવાં કિસ્સામાં એડવાન્સ પેટે આપેલ રકમ તેનાં NRE કે FCNR એકાઉન્ટમાં પરત લઈ શકે છે.

મીલ્કત ભાડાપટ્ટે આપવીઃ NRI તેની ભારતમાંની રહેણાંક કે બીન રહેણાંક મીલ્કતો કોઈપણ જાતની મંજુરી વગર ભાડાપટ્ટે પણ આપી શકે છે.
ઈન્કમ ટેક્ષઃ NRI દ્વારા ભારતમાં રહેલ તેમની મીલ્કતો પરની ભાડાની આવક પર ઈન્કમ ટેક્ષ લાગુ પડે છે.તેમાં કોઈ આવકવેરાની મુકતીની જોગવાઈ નથી.NRI એ ભારતમાં થી મેળવેલ તેની કુલ આવક સાથે તેને જોડી દેવામાં આવે છે અને લાગુ પડતાં આવકવેરાનાં સ્લેબ મુજબ તેણે ઈન્કમ ટેક્ષ ભરવો પડે છે.
આવક માફીઃ ભાડાપટ્ટાની આવકમાંથી નીચે મુજબની રકમ બાદ મળે છે બાકીની રકમ પર આવકવેરો ચુકવવાનો રહે છે.
,ભાડાની આવકનાં ૨૫% રકમમાંથી મ્યુનીસીપલ ટેક્ષ બાદ કરી બાકી ની રકમ નેટ એન્યુઅલ વેલ્યુ તરીકે ગણવામાં આવે છે.
,મીલ્કતની ખરીદી માટે જો કોઈ લોન લેવામાં આવી હોય તો તેનાં પર ચુકવામાં આવતુ વ્યાજ આવકવેરામાંથી બાદ મળે છે.

,જો મીલ્કતનો વિમો લીધેલ હોય તો તેનું પ્રીમીયમ આવકમાંથી બાદ મળે છે.
૪, રાજ્ય સરકારને જો કોઈ કરવેરો ભર્યો હોય તો તે પણ આવકમાંથી બાદ મળે છે.
ભાડાની આવક પરત લઈ જવીઃ NRI તેમની મીલ્કત પરનાં ભાડાંની આવક તેનાં NRO એકાઉન્ટમાં જમા લઈ શકે છે.તેમજ તે બેંક અથવાતો માન્ય ડિલરો દ્વારાં પણ તે આવક તેનાં એકાઉન્ટમાં જમા લઈ શકે છે તેનાં માટે તેણે ભારતનો ઈન્કમ ટેક્ષ પુરે પુરો ચુકવી દીધેલ છે તે પ્રકારનું CA નું સર્ટીફીકેટ રજુ કરવાનૂ રહે છે.

TDS : ભાડુઆત તેણે ચુકવેલાં ભાડાંમાંથી TDS -ટેક્ષ ડીડકટે એટ સોર્સ- કપાત કરી ભાડુ ચુકવતો હોય છે.તેવાં સંજોગોમાં NRI તેનાં ઈન્કમ ટેક્ષ રીર્ટનમાં તે TDS ની રકમ દર્શાવી તેટલી રકમ ટેક્ષની ચુકવણીમાંથી બાદ મેળવી શકે છે.
NRI દ્વારાં મીલ્કતનું વેચાણઃ પહેલાંનાં નીયમ મુજબ NRI મીલ્કતની ખરીદીનાં ૩ વર્ષ સુધી તે મીલ્કત વેંચી શકતાં નહીં.પરંતુ હવે આવી કોઈ મર્યાદા લાગુ પડતી નથી.મીલ્કતની ખરીદી પછી ગમે ત્યારે તેઓ તેમની મીલ્કત વેંચી શકે છે.
મીલ્કતનાં વેંચાણ પર આવકવેરોઃ NRI દ્વારાં મીલ્કતનાં વેચાંણ દ્વારાં મેળવેલી આવક પર કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.જો મીલ્કતનું વેચાણ ખરીદી પછી ૩ વર્ષ (૩૬ મહિનાં)કરતાં ઓછાં સમયમાં કરવામાં આવ્યું હોય તો તેનાં પર શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.તે NRI ની ભારતમાંની બીજી આવક સાથે જોડી ને જે તે સ્લેબ મુજબ તેનાં પર ટેક્ષ ભરવાનૉ રહે છે.

જો મીલ્કતનું વેચાણ ખરીદી પછી નાં ૩ વર્ષ(૩૬ મહિનાં)પછી કરવામાં આવ્યું હોય તો તેનાં પર લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.તેનો દર ૨૦% છે વતા સરચાર્જ અને સેસ ઉમેરતાં તે ૨૨.૫% થાય છે.
વેચાણની આવક પરત લઈ જવા માટેઃ જો મીલ્કતની ખરીદી વખતનું પેમેન્ટ NRO એકાઉન્ટ દ્વારા કરવામાં આવ્યું હોય તો તે મીલ્કત ઓછામાં ઓછી ૧૦ વર્ષ જુની હોય તો જ તે રુપીયા તે તેનાં દેશમાં પરત લઈ જઈ શકે છે.પરંતુ ખરીદી વખતે પેમેન્ટ NRE/FCNR એકાઉન્ટ દ્વારા ચુકવેલ હોય તો આ નિયમ લાગુ પડતો નથી તે ૧૦ વર્ષ પહેલાં પણ રુપીયા પરત લઈ શકે છે.
NRI એક વર્ષની અંદર ૨ થી વધારે રહેણાંક મીલ્કતનું વેચાણ કરી તે રુપીયા પરત લઈ જઈ શકતાં નથી પરંતુ બીન રહેણાંક મીલ્કતમાં આ મર્યાદા લાગુ પડતી નથી.તેમજ ફક્ત મુળ રોકાણ એટલે કે મીલ્કતની ખરીદ કીંમત જેટલાં રુપીયાજ તે પરત લઈ જઈ શકે છે.મીલ્કત વેચાણનાં નફાની રકમ તે પરત લઈ જઈ શકતાં નથી.મીલ્ક્ત વેચાંણ દ્વારા મેળવેલ નફો તે તમામ ટેક્ષની ચુકવણી બાદ તેનાં NRO એકાઉન્ટમાં જમા મેળવી શકે છે.

રવિવાર, 18 જાન્યુઆરી, 2009

સત્યમ જેવી બીજી કેટલી કંપનીઓ લાઈન માં ઉભી છે?


સત્યમ જેવી બીજી કેટલી કંપનીઓ લાઈન માં ઉભી છે?
કયાં ખોવાઈ ગઈ સેબી? અને કંપની બાબતોનું મંત્રાલય?
કોર્પોરેટ ગર્વનન્સ નાં બણગા ફુંકવાનું બંધ કરી હવે નક્કર પગલાં લો.
દરેક આર્થીક કૌભાંડો નાં અંતે મરે છે બીચારો નાનો રોકાણકાર.
હમણાં સુધી આપણે અમેરિકાનાં કોર્પોરેટ કૌભાંડો,એકાઉન્ટીંગ અને ઓડિટીંગ કૌભાંડો તેમજ પ્રમોટર્સ નાં કૌભાંડોની વાતો કરી ત્યાંનાં તંત્રને અને ત્યાંની એકાઉન્ટીંગ-ઓડિટીંગ પેઢીઑ તેમજ ત્યાંની રેટીંગ એજન્સીઓને ધીક્કારતા હતાં અને આપણે આપણી જ પીઠ થાબડી રહ્યાં હતાં પરંતુ આપણે તે સમયે એ ભુલી ગયાં હતાં કે આપણે પણ ઓડિટર્સ પશ્ચીમી દેશોમાંથી જ આયાત કર્યા છે અને આવા લોકો પર આંધળાની જેમ વિશ્વાસ મુકી તેઓની પધ્ધતિ ને અપનાવી લીધી.સત્યમનું કોર્પોરેટ કૌભાંડ તો હજી એક શરુઆત છે.તંત્ર દ્વારાં જો યોગ્ય તપાસ કરવામાં આવે તો હજુ ઘણીબધી કંપનીઓમાં આ પ્રકારનાં કૌભાંડો બહાર આવવાની શક્યતા છે.કંપનીનાં પ્રમોટરો યેન કેન પ્રકારે પોતાનાં હિતની જાળવણી તેમજ પોતાનું શેર હોલ્ડીંગ વધારવા નાં ચક્કરમાં લોકો પાસેથી ભેગાં કરેલાં રુપિયાનું મનફાવે તેમ સંચાલન કરે છે અને અંતે રડવાનું નાનાં રોકાણકારો નાં ભાગે જ આવે છે.
ભારત સરકારનું કંપની બાબતોનું કેન્દ્રીય મંત્રાલય તેમજ સેબી દેશમાં કોર્પોરેટ ગર્વનન્સની સફળતાનાં મોટાં મોટાં બણગાં ફુંકે છે પરંતુ ભારતમાં સમયે સમયે કોર્પોરેટ ગર્વનન્સની ધજીયા ઉડાડી દે તેવાં બનાવો પણ બનતાં જ આવ્યાં છે.વેદાંતા (સ્ટરલાઈટ ગ્રુપ) નો રીસ્ટ્ર્કચરીંગ પ્રોગ્રામ જે પાછળ થી પડતો મુકવામાં આવ્યો તે આનું જીવંત ઉદાહરણ છે.તે ઉપરાંત મેટાસ ઈન્ફ્રાસ્ટ્ર્કચર કંપનીંમાં સત્યમનાં રોકાણની પ્રપોઝલ અંતે રોકાણકારો ની સમયસરની જાગૃતતાને લીધે અટકી ગઈ.આ બનાવ પણ કોર્પોરેટ ગર્વનન્સની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નાર્થ ચિહ્નન મુકે છે.આ ઉપરાંત કલમ ૩૯૧ હેઠળ અનલીસ્ટેડ કંપનીઓનું લીસ્ટેડ કંપની સાથે મર્જર કરી પ્રમોટરો પોતાનું શેર હોલ્ડીંગ આડકતરી રીતે વધારી દે છે કારણ કે જે અનલીસ્ટેડ કંપનીનું મર્જર કરવામાં આવે છે તે કંપનીમાં પ્રમોટરોનું શેર હોલ્ડીંગ ૧૦૦% નું હોય છે.તે ઉપરાંત આઈપીઓ લઈ આવતાં પહેલાં કંપનીનું વેલ્યુએશન ખુબજ ઉંચુ લઈ જવા માટે અનલીસ્ટેડ કંપનીનું મુખ્ય કંપની સાથે મર્જર કરી એક ખોટું આભાસી ચિત્ર ઉભું કરી કંપનીનું વેલ્યુએશન ઉંચુ લઈ જવામાં આવે છે અને લાખો નાનાં રોકાણકારો પાસેથી કરોડો રુપીયા ઉઘરાવી લેવામાં આવે છે.આ રીતનું વ્યવસ્થીત કૌભાંડ ઘણાં વર્ષોથી ચાલે છે પરંતુ તેની સામે હજુ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી.
સત્યમનું કૌભાંડ બધાં માટે આંખ ઉઘાડનારી ઘટનાં છે.તેમજ આ ઘટના રેટીંગ એજન્સીઓ,એકાઉન્ટીંગ ફર્મ,કંપની નાં ઓડીટર,ચાર્ટ્ડ એકાઉન્ટન્ટસ,વેલ્યુઅર્સ,મર્ચન્ટ બેંકર્સ વગેરે લોકોની વિશ્વસનીયતા પર પણ એક મોટો સવાલ ઉભો કરે છે.સત્યમની બેલેન્શીટ સાથે ઘણાં વર્ષોથી આટલાં મોટાં ચેડાં કરવામાં આવ્યાં છતાં તેની જાણ સેબી ને નહોતી અને ઉલ્ટા નું સેબી દ્વારા સત્યમને બેસ્ટ કોર્પોરેટ ગર્વનન્સ માટે નો ગોલ્ડન પીકોક એવોર્ડ આપવામાં આવે છે...અને એથી પણ વધારે જ્યારે ખુદ સત્યમનાં ચેરમેન પોતે ના છુટકે આ વસ્તુ લોકો સમક્ષ જાહેર કરે છે ત્યારે સેબીને આ ઘટનાં ની જાણ થાય,એ પણ એક ચોંકાવનારી ઘટનાં કહી શકાય.આ ઘટનાંથી સમજી શકાય કે સેબી દેશનાં નાનાં રોકાણકારોની સલામતી માટ કેટલી ચીંતિત છે??