શનિવાર, 11 એપ્રિલ, 2009

ડિબેન્ચર વિશે સરળ સમજણ / ડિબેન્ચર નાં વિવિધ પ્રકારો

ડિબેન્ચર એટલે શું?
ડિબેન્ચર એ ફીકસ્ડ ડિપોઝીટ જેવું જ દેવાનું એક સાધન છે.તે સામાન્ય રીતે કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે.ડિબેન્ચરમાં રોકાણ કરવાથી કંપની નક્કી કરેલાં સમયગાળા દરમિયાન નિયત વ્યાજ આપે છે અને ડિબેન્ચર ની અવધી પુરી થાય એટલે મુદલ રકમ પરત મળે છે.
ડિબેન્ચર VS. FD
ડિબેન્ચર અને FD વચ્ચેનો મુખ્ય તફાવત તરલતા (લીક્વીડીટી) છે.શેર ની જેમ જ ડિબેન્ચરનું માર્કેટ માં ટ્રેડીંગ થઈ શકે છે તેથી જ્યારે જરુરીયાત હોય ત્યારે ડિબેન્ચર નું માર્કેટમાં વેચાણ કરી રોકડામાં રુપાંતર કરી શકાય છે એટલે કહી શકાય કે ડિબેન્ચર ખુબ જ તરલતા ધરાવતું રોકાણ સાધન છે.તેનાંથી વિરુધ્ધ FD એ અમુક નિયત સમયગાળાનું રોકાણ છે એટલે કે નિયત અવધી પુરી થાય પછી જ FD વટાવી શકાય છે આમ,FD ની તરલતા ખુબજ ઓછી છે.
સલામત (Secure) ડિબેન્ચર અને અસલામત (Non-Secure) ડિબેન્ચરઃ
#સલામત ડિબેન્ચરઃ

આ પ્રકારનાં ડિબેન્ચર માં જે મુડી રોકાણ કરેલું હોય તેની સામે કંપની પોતાની મિલ્કતનો તેટલો હિસ્સો જામીનગીરી રુપે આપે છે.એટલે કે જો તે કંપની બંધ થઈ જાય અથવા તો ફડચા માં જાય તો તેની મિલ્કતનાં વેચાણમાંથી મળતી રકમ નો સૌ પ્રથમ હીસ્સો સલામત ડિબેન્ચર ધારકો ને આપવામાં આવે છે.ત્યાર બાદનો બાકી વધતો હીસ્સો સલામત લેણદારો ને ત્યાર પછી અસલામત લેણદારો ને અને શેરધારકો ને ચુકવવામાં આવે છે.કંપની FD કરતાં સલામત ડિબેન્ચર વધારે સલામત છે કારણ કે કંપની FD સામે કંપની ની મીલ્કત ની જામીનગીરી આપવામાં આવતી નથી આથી જો કંપની ફડચામાં જાય તો સૌથી પહેલું ચુકવણું સલામત ડિબેન્ચર ધારકોને કરવામાં આવે છે ત્યાર બાદ કંપની FD ધારકો ને ચુકવાય છે.અહીં એક વાત ખાસ નોંધનીય છે કે બેંક FD પણ સંપુર્ણ સલામત રોકાણ નથી.
#અસલામત ડિબેન્ચરઃ
અસલામત ડિબેન્ચરમાં કંપની દ્વારાં તેની મીલ્કતની જામીનગીરી રુપે રક્ષણ અપાતું નથી તેથી કંપની જો ફડચામાં જાય અથવાતો બંધ થાય તો તેની મીલ્કતનાં વેચાણ માંથી પ્રાપ્ત થતી રકમનૉ પહેલો હીસ્સો સલામત ડિબેન્ચર ધારકો ને ચુકવાય છે ત્યાર બાદ સલામત લેણદારો ને અને પછી વધતો હીસ્સો અસલામત ડિબેન્ચર ધારકો તેમજ શેરધારકો ને ચુકવાય છે.
ડિબેન્ચરનાં પ્રકારો
#પરિવર્તનશીલ(Convertible) ડિબેન્ચર:
આ પ્રકારનાં ડિબેન્ચરમાં ડિબેન્ચરને શેરમાં રુપાંતર કરવા માટેનો વિકલ્પ આપવામાં આવે છે.કંપની દ્વારાં અગાઉ થી નિયત થયેલી તારીખ પર તેમજ અગાઉ થી નક્કી થયેલ ભાવે ડિબેન્ચરનું શેરમાં રુપાંતર કરી શકાય છે.આ પ્રકારનાં ડિબેન્ચરનો મુખ્ય ફાયદો એ છે કે જો કંપની સારી પ્રગતી કરે અને જો તેનાં શેરનાં ભાવો માં વધારો આવે તો પણ ડિબેન્ચર ધારકો અગાઉ થી નક્કી થયેલાં ભાવે ડિબેન્ચરનું શેરમાં રુપાંતર કરી ધુમ નફો કમાઈ શકે છે.
#અપરિવર્તનશીલ (NonConvertible)ડિબેન્ચરઃ
આ પ્રકારનાં ડિબેન્ચર પરંપરાગત FD જેવું વલણ ધરાવે છે એટલે કે આ પ્રકારનાં ડિબેન્ચરનું શેરમાં રુપાંતર થઈ શકતું નથી પરંતુ પાકતી મુદતે મુદલ રકમ પરત મળે છે.
#અંશતઃપરિવર્તનશીલ(Partly Convertible)ડિબેન્ચરઃ
આ પ્રકાર એ પરિવર્તનશીલ અને અપરિવર્તનશીલ ડિબેન્ચરનું મીશ્ર સ્વરુપ છે.રોકાણ નાં અમુક ભાગનું શેર માં પરિવર્તન થઈ શકે છે અને બાકી નો ભાગ પાકતી મુદતે પરત મળે છે.
ક્રેડીટ રેટીંગઃ
દેવાં સાધનોની ગુણવતા ચકાસણીનું કામ ક્રેડીટ રેટીંગ એજન્સીઓ કરે છે.ભારતમાં ક્રીશીલ,ઈકરા,કેર જેવી ક્રેડીટ રેટીંગ એજન્સીઓ કાર્યરત છે.વ્યાજ તેમજ મુદલની પરત ચુકવણી નો આધાર કંપની નાં પ્રદર્શન પર છે તેમજ જોખમ નો આધાર કંપની ની કામગીરી પર રહે છે.ક્રેડીટ રેટીંગ એજન્સીઓ કંપની નો પુરે પુરો અભ્યાસ કર્યા પછી તેને રેટીંગ ની ફાળવણી કરે છે જેનાં આધારે કંપની ની ગુણવતા માપી શકાય છે.આમ, ડિબેન્ચરમાં રોકાણ કરતાં પહેલાં કંપનીનાં રેટીંગ નો સંપુર્ણ અભ્યાસ કરવો હિતાવહ છે.
'પુટ' અને 'કોલ' નો વિકલ્પઃ
ડિબેન્ચર માં 'પુટ' અને 'કોલ' નો વિકલ્પ આપવામાં આવે છે.'પુટ' નો વિકલ્પ લેવાંથી તમે જ્યારે ઈચ્છો ત્યારે ડિબેન્ચર સરેન્ડર કરી તમારી રકમ પરત મળવી શકો છો.જ્યારે 'કોલ' નો વિકલ્પ લેવાંથી કંપની જ્યારે ઈચ્છે ત્યારે તમારાં ડિબેન્ચર સરેન્ડર કરાવી તમારી રકમ પરત કરી શકે છે.'પુટ'નો વિકલ્પ રોકાણકારો માટે ફાયદારુપ છે.જ્યારે બજારમાં વ્યાજનાં દરો ઉંચા હોય ત્યારે તમે ડિબેન્ચર શરણે કરી તમારી મુડી નું ઉંચું વ્યાજ આપતાં સાધાનોમાં રોકાણ કરી શકો છો.જ્યારે 'કોલ' નાં વિકલ્પમાં કંપની ને ફાયદો રહે છે.બજારમાં ઓછાં વ્યાજે ધિરાણ મળતું હોય ત્યારે ડિબેન્ચર સરેન્ડર કરાવી કંપની ઓછાં વ્યાજનું ધિરાણ મેળવી શકે છે.
ડિબેન્ચરનું શેરબજારમાં લીસ્ટીંગઃ
શેરની જેમજ ડિબેન્ચરનું પણ શેરબજારમાં લીસ્ટીંગ થાય છે.આ પ્રકારનાં ડિબેન્ચરમાં તમે ડિબેન્ચર પાકવાની રાહ જોયા વગર સમય મર્યાદા કરતાં પહેલાં પણ બજારમાં વેંચી રકમ પરત મેળવી શકો છો.
વ્યાજનાં દરોઃ
ડિબેન્ચરમાં રોકાણ સામે મળતાં વ્યાજનાં દર ને કુપન રેટ કહે છે.સામાન્ય રીતે આ વ્યાજનાં દરો બજારમાં પ્રવર્તમાન દરો જેટલાં જ હોય છે.તેમ છતાં રોકાણકારો નેઆકર્ષવા માટે અમુક કંપનીઓ ઉંચા વ્યાજનાં દર ઓફર કરતી હોય છે.ખાસ કરી ને પરિવર્તનશીલ ડિબેન્ચરમાં ડિબેન્ચરને શેરમાં રુપાંતર કરવાનો વિકલ્પ હોવાથી તેનાં વ્યાજનાં દર પ્રમાણમાં ઓછાં હોય છે.
મુદતઃ
સામાન્ય રીતે ડિબેન્ચરની અવધી ૩ થી ૭ વર્ષની હોય છે.
ઈન્કમટેક્ષઃ
ડિબેન્ચર એ દેવાંનું સાધન છે.ડિબેન્ચર પર મળેલાં વ્યાજ ને બેંક FD ની જેમ જ તમારી વધારાંની આવક તરીકે ગણવામાં આવે છે અને તેનાં પર ઈન્કમટેક્ષ લાગુ પડે છે.ડિબેન્ચર એ કેપીટલ એસેટ છે એટલે તમે જો ડિબેન્ચરનું એક વર્ષ પહેલાં વેચાણ કરો તો તેનાં પર શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે તેજ રીતે એક વર્ષ પછીનાં સમયગાળાં માં વેચાણ કરો તો તેનાં પર ૧૦% લેખે લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.